Tuesday, August 4, 2009

સાયગલના ગીતનો રૂપિયો, પંકજ મલિકના ગીતના બાર આના અને અશોક કુમારના ગીતના 25 પૈસા...



પરાગ દવે
દરરોજ સ્કુલે જતાં-આવતાં રસ્તામાં આવતી લાંબી દિવાલની બીજી તરફ શું હશે તે જાણવાની ઉત્કંઠા સતત વધતી જતી હતી અને વળી ઘરેથી માએ પણ એ દિવાલ કદી નહીં કૂદવાની કડક સૂચના આપી હતી. છેવટે એક દિવસ તે એ દિવાલ કૂદીને અંદર ઉતર્યો. તે ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન હતું. બાળક જિજ્ઞાસાથી એક પછી એક કબર જોતાં જોતાં આગળ વધતો ગયો અને અચાનક એક કબર પર તેની નજર અટકી રહી. એ કબર કોઇ ખ્રિસ્તી પાદરીની કબર હતી જેના પર લખ્યું હતું :'જન્મ 13 ઓક્ટોબર 1887, મૃત્યુ 4 ઓગસ્ટ 1929'. લગભગ કલાક સુધી તે ત્યાં બેસી રહ્યો. બાળ આભાસકુમારના મનમાં એક બાબત દ્રઢ થઇ ગઇ કે મારો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ થયો છે તો હું આ ફાધરનો જ પુનઃજન્મ છું. આજીવન તે આમ જ માનતો રહ્યો અને સમયનું એક પૂરું ચક્ર ફરી ગયું. 13 ઓક્ટોબર, 1987ના દિવસે શું થશે તેનો તેને ખ્યાલ નહોતો, પણ એ જ દિવસે તેનું અચાનક અવસાન થયું. આ આભાસકુમાર ગાંગુલી એ જ કિશોરકુમાર.
ખેર, આજે આપણે ભારતીય સિનેમાના ઇતિહાસના એકમાત્ર 'સંપૂર્ણ કલાકાર' (માત્ર ગાયક નહીં, પણ અદાકારી, સંગીત, દિગ્દર્શન, નિર્માણ, સ્ટોરીમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે) કિશોર કુમારની જન્મજ્યંતિ ઉજવી રહ્યા છીએ. એફએમ ચેનલો દિવસભર એમના ગીતો આપણને સંભળાવી રહી છે ત્યારે આપણે એમના સદાબહાર ગીતોની વાતો નથી કરવી પણ એમની સદાબહાર અને રોચક જિંદગીની વાત કરવી છે. બાય ધ વે, જિંદગી વિશે કદાચ સૌથી વધુ ગીતો પણ તેમણે જ આપ્યાં છે ને.
1948માં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં દેવ આનંદ માટે ફિલ્મ જિદ્દીમાં સૌપ્રથમ ગીત (મરને કી દુવાએં ક્યું માંગુ, જીને કી તમન્ના કૌન કરે...) કોપી સાયગલની જેમ ગાઇને કિશોરકુમારે કારકિર્દીની શરૂઆત કરી અને માત્ર ને માત્ર પાર્શ્વગાયનમાં આગળ વધવાનું ધ્યેય હોવા છતાં તેમણે ટકી રહેવા માટે એક્ટિંગ કરવી પડી. યાદ રહે કે એ યુગ ફિલ્મ ઇતિહાસનો એક સંધિકાળ હતો, જ્યારે સાયગલનું અવસાન થયું હતું અને હીરો પોતે જ ગીત ગાય તેના બદલે અન્ય ગાયક હીરોને પોતાનો અવાજ આપે એ ટ્રેન્ડ શરૂ થઇ રહ્યો હતો. જોકે કિશોરકુમાર સામે પર્વત જેવા પડકારો હતા. રફી, મન્ના ડે, હેમંતકુમાર, તલત મહેમૂદ અને મુકેશ જેવા શાસ્ત્રીય સંગીતની અધિકૃત તાલિમ પામેલા સક્ષમ ગાયકો હિન્દી સિનેમા પાસે આવી ચૂક્યા હતા ત્યારે કિશોર જેવા સંગતની કોઇપણ પ્રકારની પ્રાથમિક તાલિમ પણ ના ધરાવતા ગાયક માટે પોતાની અલગ જગ્યા ઊભી કરવી અત્યંત મુશ્કેલ હતી ('મહાન' નૌશાદ તો કિશોરકુમારને ગાયક ગણતા જ નહોતા...).
દાદામોની અશોકકુમારે તેમને એક્ટિંગ કરવાની સલાહ આપી અને પરિણામ એ આવ્યું કે કિશોરકુમારને પોતાના માટે અને દેવ આનંદ માટે ગાવાની તક મળતી રહી. 'તક' શબ્દનો અહીં એટલા માટે ઉપયોગ કર્યો કે બિમલ રોયની ફિલ્મ 'નૌકરી' (1954)માં કિશોરકુમાર હીરો હતા અને તેનું અત્યંત સૂરીલું ગીત 'છોટા સા ઘર હોગા...' સંગીતકાર સલિલ ચૌધરી હેમંતકુમાર પાસે ગવડાવવા માંગતા હતા. કિશોરદાએ પોતાને આ ગીત આપવા માટે વારંવાર વિનંતી કરી પરંતુ સલીલદા બિલકુલ તૈયાર નહોતા. છેવટે કિશોરકુમારે હઠ કરી કે એક વખત મને સાંભળો અને ત્યારબાદ સલિલ ચૌધરીએ તેમને આ ગીત આપ્યું, જે સુપરહીટ થયું. જોકે સલિલ ચૌધરી કિશોરકુમારને ગાયક તો માનતા જ નહોતા. 1972માં આવેલી ફિલ્મ 'મેરે અપને'ના અમર ગીત 'કોઇ હોતા જિસકો અપના' સાંભળ્યા બાદ જ સલિલ ચૌધરીએ કિશોરદાને મહાન ગાયક માન્યાં. એ દરમિયાન વચ્ચે 18 વર્ષનો ગાળો પસાર થઇ ચૂક્યો હતો...
1955 બાદ પોતાની અફલાતુન કોમેડી અને યોડલિંગ સાથેના મસ્તીભર્યા ગીતોના કારણે કિશોરકુમાર બોલિવુડના સૌથી હોટ સ્ટાર બની ચૂક્યા હતા અને 1955-60 દરમિયાન ફિલ્મી મેગેઝિનોના કવર પર દેવ-દિલીપ-રાજ કરતાં આ બંગાળીબાબુના વધુ ફોટા છપાતાં હતા. ગ્રેટ. 1957ના ફિલ્મફેર મેગેઝિનમાં કિશોરકુમારે પોતાની યાદદાસ્તના સહારે એક ડાયરી સ્વરૂપે થોડું લખ્યું હતું, જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કિશોરકુમાર કરતાં અશોકકુમાર લગભગ 17 વર્ષ મોટા હતા અને બાળક કિશોર તો તેમને ભાઇ માનતા જ નહોતા. તેઓ તો એવું માનતા કે અનુપકુમાર જ તેમના ભાઇ છે.
અશોકકુમાર ફિલ્મ જીવનનૈયા બાદ મોટા સ્ટાર બની ગયા હતા અને ખંડવામાં બાળ કિશોર અત્યંત કડક એવા પિતા કુંજલાલથી છૂપાઇને પોતાના ગળાને તૈયાર કરી રહ્યા હતા (વકિલ પિતાએ ખરીદેલી ફોર્ડ કારને જ તેમણે 1958ની પોતાની સુપર-ડુપર હીટ ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં ચલાવી હતી.). કે એલ સાયગલ કિશોરકુમારના એકમાત્ર ગુરુ અને આજીવન તેઓ સાયગલને પોતાનાથી અત્યંત મહાન માનતા રહ્યા. એ જમાનામાં સાયગલ ઉપરાંત પંકજ મલિક અને સુરેન્દ્ર પણ લોકપ્રિય ગાયકો હતા અને અશોકકુમાર પણ એ સમયના નિયમ મુજબ ગીત ગાતા હતા. સ્ટાર ગાયક બન્યાં બાદ પ્રોફેશનાલિઝમને વળગી રહેનારા કિશોરદા નાનપણથી પ્રોફેશનલ જ હતા. ઘરમાં જ્યારે જ્યારે કોઇ સાયગલના ગીતની ફરમાઇશ કરે તો તેણે બાળ કિશોરને રૂ.1 આપવો પડતો. એ જ રીતે પંકજ મલિકના ગીત બાર આના અને સુરેન્દ્રના ગીત આઠ આનામાં તેઓ ગાઇ આપતાં. જોકે અશોકકુમારના ગીત સંભળાવવાનો તેઓ માત્ર 25 પૈસા ચાર્જ લેતા.
કિશોરકુમાર ખરા અર્થમાં પ્રોફેશનલ હોવાના કારણે તેમની છાપ કંજૂસ તરીકેની ઊભી થઇ હતી અને કિશોરે પણ ક્યારેય ઓલિયા બનવાના સભાન પ્રયત્ન કર્યા નહોતા. પોતાની સંગીતની ટેલેન્ટને બહુ શરૂમાં ઓળખી લેનારા અત્યંત ઓછા જાણીતા કલાકાર અરુણકુમાર મુખર્જીના અવસાન બાદ કિશોરકુમારે તેમની વિધવાને દર મહિને આજીવન ઘરખર્ચી મોકલી હતી. 'ચલતી કા નામ ગાડી' જેવી ગોલ્ડન જ્યુબિલી ઊજવનારી ફિલ્મની તમામ આવક તેમણે સંઘર્ષ કરી રહેલા પોતાના ભાઇ અનુપકુમારને આપી દીધી હતી. 'પથેરપાંચાલી' બનાવનારા સત્યજિત રેને પણ તેમણે આર્થિક મદદ કરી હતી.
કિશોરકુમાર ફિલ્મી પર્દે તો હીરો તરીકે 90થી વધુ ફિલ્મોમાં આવ્યા અને તેમાં અનેક ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો હતી, પરંતુ રિયલ લાઇફમાં પણ તેઓ હીરો હતા. કટોકટીકાળમાં દેશમાં જેમની ધાક વાગતી હતી એ સંજય ગાંધીએ કિશોરકુમારને મુંબઇમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ગાવા માટે જણાવ્યું હતું, પરંતુ કિશોરકુમારે ઇનકાર કરી દીધો. પરિણામે ઓલઇન્ડિયા રેડિયો પર કિશોરકુમારના ગીતો વગાડવા પર પ્રતિબંધ આવી ગયો, પણ અહીં પરવા કોને હતી? છેવટે ફિલ્મ જગતના અગ્રણીઓએ મામલો થાળે પડાવ્યો હતો.
To Be Continued...

Saturday, May 9, 2009

સ્પાઇન ફ્લુ, શાઇન ફ્લુ, લાઇન ફ્લુ અને એવું બધું...

પરાગ દવે
સાવ સાચું કહો, તમે ક્યારેય 'સ્વાઇન ફ્લુ' જેવા કોઇ રોગનું નામ સાંભળ્યું હતું? અરે મને ખબર જ છે કે નહોતું સાંભળ્યું (નકારમાં ડોક હલાવવાની ક્યાં જરૂર હતી? ). શેરીઓમાં રખડતા ભૂંડ દુનિયાના અર્થતંત્રને બાનમાં લેશે એવો ખ્યાલ તો ભલભલા આર્થિક નિષ્ણાતોને પણ નહોતો, નહીંતર એમણે મંદીને લગતા રિપોર્ટસમાં એનો ઉલ્લેખ કર્યો જ હોત. જોકે મને કેટલાક સંભવિત ફ્લુનો ભય દેખાઇ રહ્યો છે તેથી તમને એના વિશે સજાગ કરવાના આશયથી આ લેખ લખી રહ્યો છું. જરા વાંચો કેવા કેવા ફ્લુ માનવજાતિ પર ત્રાટકી ચૂક્યા છે, પણ આપણને ખબર જ નથી!

સ્પાઇન ફ્લુઃ દુનિયાના કોઇ તબીબી પુસ્તકમાં તેનો ઉલ્લેખ જોવા નહીં મળે, પણ આ બહુ ગંભીર પ્રકારનો ફ્લુ છે. આ રોગના સામાન્ય ચિહ્નો સરળતાથી જોઇ શકાય છે. સ્પાઇન ફ્લુની શરૂઆત સ્વાભાવિક રીતે જ સ્પાઇન એટલે કે કરોડરજ્જુથી થાય છે. જેને આ રોગ થયો હોય તેને તાવ આવે છે પણ આ તાવ માત્ર સ્પાઇનમાં જ આવે છે. દુઃખાવો પણ માત્ર ત્યાં જ થાય છે. આખું શરીર સામાન્ય તાપમાન દર્શાવતું હોય છે, પણ કરોડરજ્જુ ભડકે બળતી હોય છે. આ પ્રકારના તાવમાં દર્દી સૌથી વધુ મુશ્કેલી તાવ માપવામાં અનુભવે છે. થર્મોમીટર દ્વારા કરોડરજ્જુનો તાવ કેવી રીતે માપવો એ જ કોઇ સમજી શકતું નથી. કેટલીક વખત જો વાઇરસનો હુમલો તીવ્ર હોય તો દર્દી 'સ્પાઇનલેસ' થઇ જાય તેવો પણ ભય રહે છે. જોકે આપણા સમાજમાં મોટાભાગે આ પ્રકારની ખામી સ્વીકાર્ય છે. આ રોગ બીજા કોઇપણ પ્રકારનું નુકસાન કર્યા વગર અને દવા કર્યા વગર મટી જાય છે આથી ડોક્ટરો આ રોગને બહુ પસંદ કરતા નથી.

શાઇન ફ્લુઃ ભારતમાં આ રોગ અગાઉ એક વખત જોવા મળી ચૂક્યો છે. સ્વ. પ્રમોદ મહાજન આ રોગના સૌપ્રથમ દર્દી તરીકે પ્રખ્યાત થયા હતા. આ રોગ થોડો વિચિત્ર છે. હકીકતમાં તેના કોઇ લક્ષણો જોવા મળતા નથી, પણ દર્દીના દિમાગમાં સતત શાઇન-શાઇન થતું રહે છે અને તેને આંખે માત્ર ચમકારા જ દેખાતા રહે છે. માત્ર પોતાનું ઘર કે સોસાયટી કે શહેર કે સૂર્ય-ચંદ્ર જ નહીં, તેમને સમગ્ર ઇન્ડિયા શાઇનિંગ લાગે છે. સ્વ. મહાજનના પગલે અટલજી અને અડવાણીજીને પણ આ વાઇરસ લાગુ પડ્યો હતો અને આ રોગની અસર એટલી તીવ્ર હતી કે પાંચ વર્ષના બદલે ચાર વર્ષમાં તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું સાહસ કરી નાંખ્યું હતું. 'જય હો' પણ આ જ રોગનો પેટા પ્રકાર છે. આમ જનતામાં જો આ રોગ ફેલાય તો ચોક્કસપણે ગંભીર પરિણામો આવવાનો ભય છે.

વાઇન ફ્લુઃ આ એક હઠીલો રોગ છે. વિશ્વભરમાં તે સદીઓથી જોવા મળે છે. વિપુલ પ્રમાણમાં વાઇનનું સેવન કરતા લોકોને જ આ રોગ થાય છે. હેંગઓવર ઉતર્યા પહેલાં તેમના શરીરનું તાપમાન વધેલું રહે છે અને ક્યારેક તેની અસર દિમાગ સુધી પણ પહોંચે છે. આ રોગની અસર હેઠળ વ્યક્તિ પોતાને વિશ્વસમ્રાટ માનવા લાગે છે અને ગુજરાતીમાં તેમને માટે 'તે રાજાપાઠમાં છે' એવું કહેવામાં આવે છે. આ રોગની અસર હેઠળ કેવા પરિણામો આવી શકે છે તે જાણવું હોય તો આઇપીએલ 20-20 માટે વિજય માલ્યાએ બનાવેલી 'ટેસ્ટ ટીમ' જોઇ લેવી.

ડિવાઇન ફ્લુઃ આ રોગ વાઇન ફ્લુનો કટ્ટર વિરોધી છે. આ ફ્લુ એવો જોરદાર છે કે મોટાભાગે કોઇ તેની અસરમાંથી બચી શકતું નથી. દર્દી બધા કામ પડતાં મૂકીને કલ્યાણ-કલ્યાણ એવું બબડ્યા કરે છે અને ઠેક-ઠેકાણે આશ્રમોમાં ફરતો રહે છે. ઘડીકમાં તે ટીલાં-ટપકાં કરવા માંડે છે અને પછી ધીમે-ધીમે સગાં-વ્હાલા અને મિત્રોને ઉપદેશો પણ આપવાનું શરૂ કરે છે. આ રોગની એક ખાસ વિશેષતા એ છે કે દર્દીને પોતાની જાત સદગુણોની સરવાણી અને સામેનો માણસ દુર્ગુણોના પોટલા જેવો જ દેખાય છે. વળી, આ રોગ એક જ હોવા છતાં અલગ-અલગ સંપ્રદાય પ્રમાણે તેની અસર ઓછી-વધુ થતી રહે છે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે એક સંપ્રદાયનો દર્દી બીજા સંપ્રદાય તરફ કદી જોતો નથી. ચોંકાવનારી માહિતી મળી રહી છે કે ગુજરાત અને ભારતની અડધો-અડધ વસ્તીને આ રોગ લાગુ પડી ચૂક્યો છે.

લાઇન ફ્લુઃ આ રોગ લગભગ સર્વત્ર જોવા મળે છે. રેશનિંગની દુકાનથી લઇને મલ્ટિપ્લેક્સની ટિકીટ બારી સુધી આ રોગ જોવા મળે છે. આ રોગમાં દર્દીઓ ગમે ત્યાં લાઇન બનાવવા લાગે છે. દર્દીના દિમાગમાં આ રોગ એવો ઘર કરી જાય છે કે કેટલીક વખત લાઇન ના હોય તો તેને એમ લાગે છે કે જરૂર કાઉન્ટર બંધ થઇ ગયું હશે. રેલ્વે સ્ટેશનો પર તો કેટલીક વખત ટિકીટવાંચ્છુઓની લાઇન ટ્રેન કરતાં પણ લાંબી થઇ ગઇ હોવાના દાખલા છે. ઇતિહાસ ગવાહ છે કે અનેક લડાઇઓ લાઇન તોડવાના કારણે થઇ છે. આપણે ત્યાં લાઇનનું સ્થાન અદકેરું છે. જોકે હવે ટેલિ બુકિંગ અને હોમ ડિલિવરી જેવી સુવિધાઓના કારણે આ ફ્લુનું જોર નબળું પડતું જાય છે.

સાઇન ફ્લુઃ આ ફ્લુ બહુ ખતરનાક છે. જેને આ રોગ લાગુ પડે તે સાઇન (સહી) કર્યા કરતો હોય છે. હાથમાં પેન-કાગળ ના હોય તો હવામાં આંગળીઓ ઘૂમાવીને સહીઓ કરતો રહે છે. કરુણતા એ હોય છે કે આ દર્દીને ચેક તો જવા દો, ઘરે આવેલા કુરિયર માટે પણ સાઇન કરવાને યોગ્ય માનવામાં આવતો નથી. જે સેલિબ્રિટીઝના ઓટોગ્રાફ માટે ઉપર ઉલ્લેખ કરેલો 'લાઇન ફ્લુ' ફેલાતો હોય તેમને સેલિબ્રિટી સ્ટેટસ ગુમાવ્યા બાદ સાઇન-ફ્લુ થવાની શક્યતા છે. રાજેશ ખન્નાને આ ફ્લુ લાંબા સમયથી લાગુ પડ્યો છે.

ફાઇન ફ્લુઃ આ ફ્લુમાં વળી બે પ્રકાર હોય છે. એક પ્રકારમાં દર્દીને હંમેશા દંડ જ થતો રહે છે. સ્કુલમાં યુનિફોર્મ માટે, કે પછી મોબાઇલ બિલ મોડું ભરવા બદલ કે પછી ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા બદલ આ પ્રકારના દર્દીઓ સતત ફાઇન એટલે કે દંડ ભરતાં જ રહે છે, અવિરતપણે.
જોકે બીજા પ્રકારનો ફાઇન ફ્લુ બહુ સરસ છે. જગતમાં આ એક જ ફ્લુ એવો છે, જેને તબીબો પણ સારો માને છે. આ ફ્લુ જેને થયો હોય તે દર્દીઓ 24 કલાક ખુશીઓથી ઘેરાયેલા રહે છે. ટેન્શન કે સ્ટ્રેસ જેવા દુષણો આ ફ્લુના દર્દીઓને સ્પર્શતા નથી. ગમે ત્યારે તમે એમને પૂછો કે કેમ છો, તો તેમનો જવાબ હંમેશા 'ફાઇન' જ હોય છે. આપણને બધાને આ બીજા પ્રકારનો સારો ફાઇન ફ્લુ થાય એવી અપેક્ષા રાખું છું.

Sunday, May 3, 2009

એક વર્ષમાં લઘુ નવલ લખવાની ઇચ્છા છેઃ જય વસાવડા





પરાગ દવે

સૌરાષ્ટ્રના હ્રદય રાજકોટથી ગોંડલની દિશામાં અમારી કાર દોડતી હતી અને મારા દિમાગમાં વિચારોનું ઘોડાપુર હતું. 1970 બાદ હિન્દી સિનેમામાં વિજય નામનું એક પાત્ર દાખલ થયું, અને પોતાની એન્ગ્રી યંગ મેનની ઇમેજ વડે લોકોના દિલો-દિમાગ પર દાયકાઓ સુધી છવાયેલું રહ્યું. સિસ્ટમ સામેનો તેનો રોષ લોકોને પોતાનો અવાજ લાગવા માંડ્યો અને અનેક યુવાનો માટે 'વિજય'ના રૂપમાં અમિતાભ બચ્ચન રોલ-મોડેલ બની ગયા. 1996માં ગુજરાતી કોલમ જગતમાં એક 'જય'નો પ્રવેશ થયો અને આજે બાર વર્ષના ગાળા બાદ લાખો ગુજરાતી યુવાનોને તેમની કોલમ પોતાના વિચારોના પ્રતિબિંબ સમાન લાગે છે. વેલેન્ટાઇન-ડે કે ફ્રેન્ડશીપ-ડે વિશે કોઇ ગુજરાતી કોલમિસ્ટ લખે તે વાત જ જ્યારે સ્વપ્નવત લાગતી હતી ત્યારે જય વસાવડાએ આ વિષયોને સ્પર્શ કર્યો અને બદલાઇ રહેલી પેઢીએ પોતાનો પસંદગીનો લેખક જય વસાવડાના રૂપમાં મેળવી લીધો.
જાણીતા કાર્ટુનિસ્ટ મિત્ર અશોક અદેપાલ પણ સાથે હતા અને રાત્રે 8 વાગ્યે રાજકોટમાં વાત વાતમાં તેમણે જ ગોંડલ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે ગોંડલના માર્ગે ચઢી ગયા. રસ્તામાં અદેપાલે ફોન કરીને જય વસાવડાને કહ્યું કે એક પત્રકાર મિત્ર સાથે મળવા આવી રહ્યા છીએ. જોકે જયબાબુ ઘરથી દૂર હતા પરંતુ આશ્ચર્ય વચ્ચે તેમણે વિના સંકોચે 10:30 વાગ્યે ઘરે આવવાનું કહ્યું. મારા મનમાં જય વસાવડાનો ઇન્ટરવ્યૂ કરવાનો વિચાર આવ્યો.
અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યાં ત્યારે હજુ જયબાબુ આવ્યા નહોતા પરંતુ અમે ઘરે આવવાના છીએ એ વાત તેમણે તેમના પિતાને જણાવી દીધી હતી. જય વસાવડાના નિવૃત્ત પ્રોફેસર પિતા લલિતભાઇ વસાવડા 73 વર્ષિય બુઝુર્ગ છે. ઘરમાં અમે દાખલ થયા તો માત્ર ચાલી શકાય તેટલી જ ખાલી જગ્યા હતી, બાકીનું આખું ઘર પુસ્તકો-મેગેઝિનો અને ડીવીડીથી ખીચોખીચ. પ્રો. વસાવડાએ અમારી સામે જોઇને પ્રેમથી કહ્યું, ''અમારા ઘરે ચોર ચોરી કરવા આવે તો વાંચવા બેસી જાય, અથવા થોડા દિવસો બાદ પુસ્તકનો બીજો ભાગ માગવા આવે...'' અમારી સાથે લગભગ 20 મિનિટ સુધી તે સાહિત્યની રસાળ ચર્ચા કરતા રહ્યા.
જય વસાવડા આવ્યા ત્યારે ખબર પડી કે તે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા માટે ગયા હતા. ગોંડલના જ બીજા બે મિત્રો પણ તેમની પાછળ જ આવ્યા અને પરિચય બાદ શરૂ થઇ રાજકારણની ચર્ચા. છેવટે લગભગ 1 વાગ્યે જય વસાવડાનો ઇન્ટરવ્યૂ શરૂ થયો. જય વસાવડા લેખમાં જેટલા નિખાલસ હોય છે તેના કરતાં વધુ નિખાલસ રૂબરુ વાતચીતમાં છે. સાનિયા મિર્ઝાની મારકણી અદા સાથેના પોસ્ટર ઉપરાંત સ્ત્રી-પુરુષ કિસ કરી રહ્યા હોય તેનું પોસ્ટર અને બાકી પુસ્તકો-સીડી-ડીવીડીથી છલોછલ રૂમમાં ઇન્ટરવ્યૂ ચાલુ થયો.
પ્રશ્નઃ કોલમિસ્ટ જય વસાવડાના ઘડતરની શરૂઆત...
જયઃ હું ધોરણ 1-7 સુધી ઘરે જ ભણ્યો છું. મારા મમ્મીએ મારા અભ્યાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. નાનપણથી જ ઘરમાં પુસ્તકો-મેગેઝિનો આવતા રહ્યા છે. વાંચન ગમતું ગયું, રસ પડતો ગયો અને પરિણામ સામે જ છે.
પ્રશ્નઃ 'સ્પેક્ટ્રોમીટર'ની શરૂઆત કઇ રીતે થઇ?
જયઃ હું એક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો અને તેની પ્રેસનોટ આપવા માટે રાજકોટ ગુજરાત સમાચારમાં ગયો હતો. ત્યાં તંત્રી સૂર્યકાન્તભાઇ મહેતાએ મને કહ્યું કે તમારા પિતા ગુજરાતીના પ્રોફેસર છે તો નંબર આવે એમાં કઇ મોટી વાત છે? મેં તેમને કહ્યું કે આ બધું હું મારી જાતે લખું છું. ત્યારબાદ તેમણે મને જવાહરલાલ નહેરુ વિશે લેખ લખવા કહ્યું અને મેં ત્યાં જ તેમને લેખ લખીને આપી દીધો. ત્યારબાદ ધીમે-ધીમે ગુ.સ. સાથેનો સંપર્ક વધતો ગયો અને મેં વિજળી સંકટ વખતે રાજકોટમાં આઠ હપ્તાની શ્રેણી લખી ત્યારે નિર્મમભાઇ શાહે મને અમદાવાદ મળવા માટે બોલાવ્યો અને ગુ.સ.માં જોડાઇ જવા કહ્યું. જોકે મારો અભ્યાસ ચાલુ હોવાથી મેં ના પાડી તો તેમણે મને કોલમ લખવાનું આમંત્રણ આપ્યું. પહેલાં તો હું ચિંતામાં પડ્યો કે અમુક લેખો પછી વિષયો ખૂટી જશે તો? જોકે નિર્મમભાઇએ કહ્યું કે તમે લખવાનું ચાલુ તો કરો, વિષયો ખૂટી જાય તો બંધ કરી દેજો. 24 ઓગસ્ટ, 1996ના રોજ 'ગુજરાતની અસ્મિતાઃ સ્મિત વિલાઇ રહ્યું છે' શિર્ષક સાથે પ્રથમ લેખ લખ્યો અને હજુ વિષયો ખૂટ્યા નથી અને આજ સુધીમાં મેં લગભગ 1,200 જેટલા લેખ લખ્યા છે. 2002માં મમ્મીના અવસાન વખતે બે રવિવાર લખ્યું નહોતું તે સિવાય ક્યારેય ડેડલાઇન પણ ચૂક્યો નથી.
પ્રશ્નઃ તમે કહો છો કે વિષયો ખૂટ્યા નથી, પણ તમારા કેટલાક વાચકોને લાગે છે કે તમે વારંવાર ફિલ્મો વિશે લખતા જ રહો છો. શું તમારા લેખોમાં ફિલ્મોનો ઓવરડોઝ નથી થતો?
જયઃ (ઊભા થઇને એક પ્લાસ્ટિક-બેગમાંથી થોડા કાગળો કાઢે છે) આ મારા છેલ્લાં 20 લેખોનું લિસ્ટ છે, જે સ્પેક્ટ્રોમીટર, અનાવૃત્ત અને અભિયાનમાં લખ્યાં છે. આ લિસ્ટમાં 4-5 લેખો ફિલ્મોના છે. હું ફિલ્મો વિશે વધુ લખું છું એવું નથી પણ લોકોને સિનેમાના લેખો વધુ ગમે છે એટલે એ યાદ રહી જાય છે.
પ્રશ્નઃ પણ તમે મોટાભાગે ફ્લોપ ફિલ્મો વિશે જ લખો છો અથવા તમે લખો છો એ ફિલ્મ ફ્લોપ થઇ જાય છે...
જવાબઃ (હસતાં હસતાં) મારી પાસે લગભગ 5,000 ફિલ્મોનું પર્સનલ કલેક્શન છે અને હું મને જે ફિલ્મ ગમે છે એને સમાજ સાથે જોડીને લખું છું.
પ્રશ્નઃ ગુજરાતી કોલમીસ્ટ તરીકે બક્ષીનું સ્થાન હજુ કોઇ લઇ શક્યું નથી અને બક્ષીએ જ તમને નવી પેઢીના સૌથી તેજ-તર્રાર કોલમિસ્ટ ગણાવ્યા હતા. તમારા લેખો બહુ મોટા પ્રમાણમાં વંચાય છે, પણ તેમાં માહિતી કેમ હંમેશા ઓછી અને અંગત વિચારો હંમેશા વધુ હોય છે?
જયઃ હાલમાં ઇન્ટરનેટના કારણે માહિતી લોકોની ફિંગરટીપ પર ઉપલબ્ધ છે. માહિતીની સાથે તમે ઇમોશનલ પંચ ઉમેરો એ બહુ જરૂરી છે. બક્ષી જગતભરના અખબારો મંગાવતા હતા અને તેના આધારે કોલમ લખતા હતા. હવે લોકોને માહિતીનો અચંબો નથી, માત્ર માહિતીપ્રદ લખાણ હવે ફિક્કુ લાગે છે.
પ્રશ્નઃ તમે લેખ કઇ રીતે લખો છો? લેખ લખવા માટે કોઇ ખાસ વાતાવરણની જરૂર પડે છે?
જયઃ બિલકુલ નહીં, હું ગમે ત્યાં લેખ લખી શકું છું. એક વખત સબ્જેક્ટ નક્કી કર્યા બાદ લખવા માટે કોઇ ખાસ લક્ઝરીની જરૂર પડતી નથી. મારો છેલ્લો લેખ મેં રાજકોટમાં એક સ્ટ્રીટ લાઇટ નીચે પૂરો કર્યો હતો, કારણ કે મારી સાથે આવેલો મિત્ર તેના કોઇ કામસર બીજી જગ્યાએ ગયો હતો. આનો લાભ એ થાય છે કે લેખ હંમેશા સમયસર લખી શકાય છે.
પ્રશ્નઃ અત્યારે આપણે રાજકારણની જે ચર્ચા કરી તેના પરથી કહી શકાય કે તમે રાજકારણ વિશે રોચક ચર્ચા કરો છો. પણ રાજકારણ વિશે લેખો કેમ બહુ ઓછા લખો છો?
જયઃ પહેલાં લખતો હતો, પણ પછી લાગ્યું કે લોકોને રાજકારણ ગમતું નથી. તેમ છતાં અમુક વખત મારા આનંદ માટે રાજકારણ પર લખું છું, પણ જો એ જ ચાલુ રાખું તો છ મહિનામાં મારી કોલમ બંધ થઇ જાય. (ખડખડાટ હસે છે)
પ્રશ્નઃ તમે યુવાનોના પ્રિય લેખક છો અને મહત્તમ લેખો યુવાનોને ધ્યાનમાં રાખીને જ લખો છો. આ સ્વાભાવિક છે કે સભાનપણે?
જયઃ આ એકદમ સ્વાભાવિક છે, કોઇ એજન્ડા વગર લખાય છે. મને યુવાનો માટે લખવું ગમે છે. હું જ્યારે વાંચતો ત્યારે ડુઝ એન્ડ ડોન્ટ્સ વાંચતો અને તેનાથી કંટાળી જતો. જીવનમાં અમુક વસ્તુ આનંદ માટે હોય, બધું જ માત્ર મોટિવેશન માટે ના હોય, દરેક બાબતમાં હેતુ ના હોય. મેં વેલેન્ટાઇન-ડેના લેખમાં મેઘાણીની વાર્તા લખી હતી. જો યુથ માટે જાણી-જોઇને લખવું હોય તો મેઘાણીની તળપદી ભાષાની વાર્તા શા માટે પસંદ કરું? મારી મોટાભાગની ચોઇસ યુથ સાથે મેળ ખાય છે, પણ માત્ર યુવાનોને જ ગમે એ માટે લખ્યું હોય એવું નથી. યુવાનો સેકન્ડરી છે, આપણને ગમે એ પ્રથમ છે. કેટ વિન્સલેટ મને ગમે છે એટલે મેં લખ્યું છે, યુવાનોને તે ગમે છે એટલે નહીં.
પ્રશ્નઃ સેક્સ પણ તમારો ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે...
જયઃ હું જે કાંઇ લખું છું તે આપણી સંસ્કૃતિના આધારે જ લખું છું. વાલ્મિકી રામાયણમાં પણ રામ-સીતાની વાત છે. બધું જ અહીં જ છે, હું માત્ર ટોર્ચ લઇને પહોંચી જાઉં છું. ભારતીય સંસકૃતિમાં સેક્સ વિના કાંઇપણ પૂર્ણ થતું નથી, કૃતિ, મંદીર કાંઇ નહીં. પ્રાચિન ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરવી હશે તો આ હકીકતોને ધ્યાનમાં લીધા વગર નહીં ચાલે. વિરોધ કરનારાઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના નામે જે ચલાવે છે તે ઇસ્લામિક છે તાલિબાનો સમાન છે. મુસ્લિમો અને અંગ્રેજોએ જે ચલાવ્યું તે હાલમાં તમે ચલાવી રહ્યા છો.
પ્રશ્નઃ પણ તમે કઇ હદ સુધી છૂટછાટની તરફદારી ચાલુ રાખશો? અક્ષય-ટ્વિન્કલે જાહેરમાં જે હરકત કરી તેનો પણ તમે બચાવ કર્યો...
જયઃ અક્ષય-ટ્વિન્કલના ઇશ્યૂમાં હકીકતે તો એક મોડેલ અક્ષયના જિન્સનું બટન ખોલવાની હતી, પણ તેના બદલે અક્ષયે પત્ની ટ્વિન્કલ પાસે એ બટન ખોલાવ્યું હતું. બીજું, કે એ ઘટના સમાજમાં બની નહોતી, એક પ્રાઇવેટ પ્રોગ્રામ હતો. એ ઘટનાને મિડિયા સમાજમાં લાવ્યું. માણસનું સ્વરૂપ અલગ-અલગ સમયે અલગ-અલગ હોય છે. કોઇ વ્યક્તિ ઘરમાં ફોન પર ગુસ્સે થશે તો ગાળ નહીં બોલે પણ શેરીમાં આવશે પછી? હું માનું છું કે આપણો સમાજ જો ગુટખાને સ્વીકારી શકે છે તો આટલી છૂટછાટ શા માટે સ્વીકારી શકતો નથી? આપણે સંયમ અને સભ્યતાની વાતો કરીએ છીએ પણ ફિલ્મમાં જો હીરો-હીરોઇન નજીક આવે તો પણ કેટલાય લોકો સીસકારા બોલાવવા લાગે છે. આ દંભ સામે મારો વિરોધ છે.
પ્રશ્નઃ હજુ કોઇ વિષયો પર લખી ના શકાયું હોય એવું લાગે છે?
જયઃ હા, હજુ મારે ઘણા વિષયો પર લખવું છે. ખાસ કરીને બાયોગ્રાફી. આર્ટિસ્ટ્સ, લેખકો અને વૈજ્ઞાનિકોના જીવન પર હું લખવા માગું છું, પણ આ બધું અભ્યાસ વગર લખવું શક્ય નથી અને સમયનો અભાવ અભ્યાસની તક પૂરી પાડતો નથી.
પ્રશ્નઃ હાલમાં તમે કઇ રીતે સમયનો ઉપયોગ કરો છો?
જયઃ દર અઠવાડિયે હું ત્રણ-ચાર પ્રવચનો આપું છું. એની તૈયારીમાં ઘણો સમય જાય છે, તે સિવાય મિત્રો સાથે ગપ્પાં-બાજી, ચાલવા જવાનું, ક્રિયેટિવ કોન્ટ્રાક્ટ્સ, સ્ક્રીપ્ટીંગ, નેટ સર્ફિંગ, ટેલિવિઝન અને ઘરના નાના-મોટા કામમાં સમય ફાળવું છું. પ્રવચનો મારી દ્રષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ છે. ભારતના જન-સામાન્ય સુધી માત્ર બોલીને જ પહોંચી શકાય.
પ્રશ્નઃ તમે કોલમિસ્ટ તરીકે ઘણી ખ્યાતિ મેળવી છે, પણ સાહિત્યમાં તમે પ્રવેશ શા માટે નથી કર્યો? જ્યારે અગાઉના મોટાભાગના ગુજરાતી કોલમિસ્ટો વિખ્યાત સાહિત્યકાર રહી ચૂક્યા છે.
જયઃ હવે હું સાહિત્યમાં પણ પ્રવેશ કરીશ. બે નવલકથાના પ્લોટ વિચારી રાખ્યા છે. એક યુરોપિયન ફિલ્મ પર આધારિત પ્લોટ છે. પણ લખવાનો સમય મળતો નથી. હું એક નવલકથા લખું એટલા સમય અને શક્તિમાં આઠ-દસ લેખ લખી શકાય. જોકે આ વર્ષે એક નવલકથા લખવાનું ચાલુ કરીશ, જે લઘુનવલ રહેશે.
પ્રશ્નઃ સરસ. તમારા પ્રવેશથી લઇને આજ સુધીના ગુજરાતી કોલમ જગતમાં તમારા કારણે કોઇ બદલાવ આવ્યો હોય એવું લાગે છે?
જયઃ બિલકુલ. વેલેન્ટાઇન-ડે અને ફ્રેન્ડશીપ-ડે વિશે સૌથી પહેલાં મેં જ લખવાની શરૂઆત કરી. જોકે મારી શરૂઆત બાદ પણ બે-ત્રણ વર્ષ સુધી તેના વિશે ખાસ કોઇ લખતું નહોતું, પણ હવે તમે જોઇ શકો છો કે આ બંને દિવસો વિશે ગુજરાતી અખબારો પાનાં ભરે છે. વળી, જયેશ અધ્યારુ, વિરલ વસાવડા, જ્વલંત છાયા, જયેશ વાછાણી અને કુલદીપ મણિયાર જેવા મારા કેટલાક વાચકો પણ લેખક બન્યાં.
પ્રશ્નઃ તમને પોતાને ગમતા લેખકો...
જયઃ નગીનદાસ સંઘવી, નગેન્દ્ર વિજય, હસમુખ ગાંધી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય મારા પ્રિય લેખકો છે. તે ઉપરાંત કાન્તિ ભટ્ટ પણ ગમે છે, ખાસ કરીને 40 વર્ષથી દરરોજ એક વેખ લખવાની તેમની ક્ષમતા અદભૂત લાગી છે. હાલના કોલમિસ્ટમાં દીપક સોલિયા શ્રેષ્ઠ લાગે છે. હ્યુમરમાં અશોક દવે પ્રિય છે.
પ્રશ્નઃ જય વસાવડાને સૌથી વધુ ગમતી ફિલ્મો...
જયઃ સેંકડો ફિલ્મો પસંદ છે. પણ ટાઇટેનિક, સ્ટારવોર સિરિઝ, દિલ સે, યુગપુરુષ, સત્યકામ, અગ્નિપથ, ટુ બી ઓર નોટ ટુ બી, હિચ, હેરાફેરી બહુ પસંદ છે, આ સિવાય પણ અનેક ફિલ્મો જેવી કે વેનસ્ડે, યે હૈ મુંબઇ મેરી જાન, ધ ફોલ, ઓપન યોર આઇઝ, ધ એપાર્ટમેન્ટ (ઇટાલિયન ફિલ્મ), પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, લમ્હેં, હમ દિલ દે ચૂકે સનમ અને સાંવરિયા પણ મનપસંદ છે.
પ્રશ્નઃ મનપસંદ ગીતો...
જયઃ રહેમાનના લગભગ તમામ ગીતો ઉપરાંત હર કિસીકો નહીં મિલતા યહાં પ્યાર, પરદેશનું નહીં હોના થા, તાલનું ઇશ્ક બિના, રંગીલાનું ક્યા કરે ક્યા ના કરે, પ્રિયતમાનું કોઇ રોકો ના દિવાને કો, રેડ રોઝનું કિસકી સદાયેં, કુરબાનીનું હમ તુમ્હે ચાહતે હૈ ઐસે, ઉપકારનું કસ્મે વાદે, સીઆઇડીનું લે કે પહેલા પહેલા પ્યાર અને અમરપ્રેમનું કુછ તો લોગ કહેંગે...લિસ્ટ પૂરું થાય એમ નથી.
પ્રશ્નઃ ગુજરાતના 15 લાખથી વધુ વાચકો સુધી પહોંચતા જય વસાવડાને હવે ગોંડલ નાનું સેન્ટર નથી લાગતું?
જયઃ મને ઘણી વખત રાજકોટ સ્થાયી જઇ જવાનો વિચાર આવ્યો છે, પણ રાજકોટ બહુ મોંઘું શહેર છે. જોકે એક વાત નક્કી છે કે હું વહેલો-મોડો રાજકોટ શિફ્ટ થઇ જઇશ કારણ કે મને એ શહેર ગમે છે, શહેર અને ગામડાંનું એ મિશ્રણ છે.
પ્રશ્નઃ જો તમને ભારતમાં ત્રણ બાબતો બદલવાની સત્તા આપવામાં આવે તો કયા બદલાવ લાવો?
જયઃ સૌપ્રથમ તો છોકરા-છોકરીના લગ્નમાં વડિલોની દખલગીરી અટકાવું, કારણ કે તેના કારણે ઘણી હત્યાઓ અને આત્મહત્યાઓ થાય છે અને ઘણાની લાગણી દુભાય છે. બીજું, ઓપન એક્સપ્રેશન ઓફ સેક્સ્યુઆલિટીનો સ્વીકાર કરાવું, કારણ કે એ દુનિયાના અનેક દેશોમાં સ્વીકાર્ય છે અને તેમ છતાં ત્યાં કાંઇ આપણા કરતાં વધુ ગુન્હા થતા નથી. ત્રીજું, આપણે ત્યાં જે Lack of innovation છે તે બદલું, એક સમયે આપણે ત્યાં નવા વિચારો સ્વીકારવામાં વધુ ઉદારતા હતી, પણ આજે નથી રહી, જે અફસોસજનક છે.
પ્રશ્નઃ તમે ક્યારે લગ્ન કરશો?
જયઃ એ હું એકલો તો કઇ રીતે કહી શકું? લગ્ન બે વ્યક્તિ વચ્ચે જ શક્ય બને છે અને હાલની આર્થિક મંદીના સમયમાં જનાનખાનું બનાવવું ના પોસાય. જોકે હું ગમે ત્યારે લગ્ન કરી નાંખું એ નક્કી છે.
પ્રશ્નઃ ભારતના યુવાન પાસે શું નથી?
જયઃ ડેપ્થ. માત્ર ઊર્જાથી બધું ના થઇ શકે. કોઇપણ વિષયમાં ઊંડા ઉતરવામાં આપણા યુવાનો પાછળ પડે છે. વળી, ગુજરાતી યુવાનનના જીવનમાં તો નાણાં સિવાય બીજું કાંઇ નથી. અહીં સફળતાની વ્યાખ્યા માત્ર પૈસા જ છે. આનંદ અને સફળતા માટે બીજી ઘણી બાબતો જરૂરી છે.
પ્રશ્નઃ તમારા જીવનનું લક્ષ્ય શું છે?
જયઃ જલસા. સર્જન અને મનોરંજન. જલસાને જીવનનું અલ્ટિમેટ ગોલ ગણીને બીજા શોર્ટ-ટર્મ ગોલ પ્રાપ્ત કરવાના, પણ લક્ષ્ય તો જલસા જ. જીવવાની મજા આવવી જોઇએ બસ.
ડિયર રિડર, ગુજરાતનો કદાચ એકમાત્ર લેખક, જેના મોબાઇલમાં 3,664 વાચકોના નંબરો 'સેવ' કરેલા છે, તેવા જય વસાવડા સાથેની મુલાકાતના અંતે એ જાણીને આનંદ થયો કે તેમાં મારો મોબાઇલ નંબર પણ 'સેવ' છે. વળી, મનગમતી ફિલ્મો અને ગીતો વિશે જેને પૂછવું ગમે અને જવાબમાં જે આટલી લાંબી યાદી આપે તેવો બીજો ગુજરાતી લેખક મળવો પણ મુશ્કેલ છે. જો કે હવે આપણે પ્રતિક્ષા કરવાની છે જય વસાવડાની લઘુ નવલની. વેઇટ ફોર ઇટ...

Monday, April 13, 2009

બોર્ડની પરીક્ષાની આત્મકથા...


પરાગ દવે


અત્યાર સુધી હું ચૂપ હતી, પણ હવે મને લાગે છે કે મારે મૌનનો ત્યાગ કરવો જ પડશે. મારા એક ભાગ સમાન ગુજરાતીના પ્રશ્નપત્રોમાં વર્ષોથી હું નિબંધરૂપે પૂછાતી આત્મકથાઓ જોતી આવી છું, પણ હવે તો હદ થાય છે. 'એક ટૂટેલા ઘડાની આત્મકથા', 'એક પેનની આત્મકથા', 'એક ખટારો થઇ ગયેલી બસની આત્મકથા' ને 'એક સળગી ગયેલી દિવાસળીની આત્મકથા' પણ મેં મારા પ્રશ્નપત્રોમાં જોઇ છે. મને એ હકિકતનો આજીવન રોષ રહ્યો છે કે મારા નામે ભીરું વિદ્યાર્થીઓ અને એથીયે ભીરું વાલીઓને ડરાવતા રહેલા શિક્ષકો, સંચાલકો કે શિક્ષણશાસ્ત્રીઓએ ક્યારેય મારી આત્મકથાનો નિબંધ તો નથી જ પૂછ્યો પણ તેમને આવો વિચાર પણ નથી આવ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેના જીવન ઘડતર અને સંપત્તિ સર્જનમાં મારું યોગદાન અવગણી ના શકાય તેવું રહ્યું છે તે જોતાં આ સમગ્ર શિક્ષણઆલમની એ ફરજ છે કે તેઓ મારી આત્મકથા નિબંધરૂપે પૂછીને મારી કદર કરે. ભલે તેઓ વિવેક ચૂક્યા, પણ હું મારા વિશેની તમામ જિજ્ઞાસા સંતોષવા મારી કહાની કહી રહી છું. આ રીતે હું પહેલી જ વખત જાહેરમાં નિવેદન કરી રહી છું, જો આ શિસ્તભંગ ગણાય તો મને તાકીદે સેવામાંથી મુક્ત કરવાની પણ હું અપીલ કરું છું, (જો કે મને ખબર છે કે હું સોનાના ઇંડા આપતી મરઘી જેવી છું અને મને સેવામુક્ત કરવાની કોઇની ગણતરી નથી, એટલે જ મેં આ ગુગલી ફેંકી છે). અને હા, આ કથની કહેતા પહેલાં મેં દહીં પણ ખાઇ લીધું છે, શુકન તરીકે.


મારો જન્મ ક્યારે થયો અને મારા માતા-પિતા કોણ છે એ વિશે તો મને પણ ચોક્કસ ખ્યાલ નથી, પણ મારા પ્રશ્નપત્રોમાં નિબંધરૂપે પૂછાતી આત્મકથાઓની પેઠે મારું બાળપણ પણ સોનેરી જ હશે એવું હું માની લઉં છું. ઘણા ઘરડા કહેતા હોય છે કે અગાઉ હું 'ઇન્ટર' સ્વરૂપે હતી. મોભો તો ત્યારે પણ મારો બહુ મોટો હતો અને મારા નામમાત્રથી ભલભલા કાંપી ઉઠતા. જેઓ મને પ્રસન્ન કરી શકતા હતા તેમને હું સોનેરી ભવિષ્ય યાવદચંદ્ર દિવાકરૌ લખી આપતી હતી અને જેઓ મારી સામે પરાસ્ત થઇ જતા, તેમની કારકિર્દીમાં હું ઇન્ટરવલ પાડી દેતી હતી. જોકે એ સમય એવો હતો કે સમાજના મહત્તમ લોકો મને ઇડરિયા ગઢ જેવી ગણતા અને મારી સામે પરાસ્ત થવામાં તેમને કોઇ નાનમ નહોતી અને હું પણ ત્યારે બાલ્યાવસ્થામાં હોવાથી મને પણ કોઇ એવી અપેક્ષાઓ નહોતી કે મારી સામે હથિયાર મૂકી દેનારા પૃથ્વી લોકનો ત્યાગ કરી દે. આમ મારું લાલન-પાલન બહુ જ સારી રીતે અને અન્ય ભાજી-મૂળા સમાન પરીક્ષાઓને ઇર્ષ્યા આવે એ રીતે થતું ચાલ્યું. જૂના સમયના વિદ્વાન ગુરુજનો મારું પૂરતું માન જળવાય એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરતા હતા. હું બહુ જ ખુશ હતી.


પરંતુ નિયતિ તો પરીક્ષાઓને પણ હોય છે એ બાબતથી હું સાવ અજાણ હતી. સમગ્ર શિક્ષણ જગતમાં મારો જોટો જડે તેમ નહોતો અને હું કેટલી મૂલ્યવાન બની શકું તેમ છું તેનો પણ મને ખ્યાલ નહોતો. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ હું વધારે ને વધારે ભયાનક થવા લાગી. રાજાની રાજકુંવરીની જેમ મારો હાઉ લોકોમાં દિવસે ના વધે એટલો રાત્રે અને રાત્રે ના વધે એટલો દિવસે વધતો ચાલ્યો. વર્ષો વર્ષ મેં બનાવેલો ખાડો કૂદવા ઇચ્છનારાઓની સંખ્યા વધતી ચાલી. હવે તો હું 'મેટ્રિક' બની ગઇ હતી અને મારી યુવાની એવી ખીલી હતી કે મને પ્રસન્ન કરવા મથતા કિશોરો સફળ થાય છે કે નિષ્ફળ તેના પર તમામની મીટ મંડાયેલી રહેતી. દરમિયાન હિન્દુસ્તાનની જેમ મને પણ ખંડિત કરી દેવામાં આવી અને હું એક સાથે 10 અને 12 એમ બે વર્ષના વિદ્યાર્થીઓ માટે પડકાર બની ગઇ. આમ કરવાથી મારી પ્રતિભાનો પૂરતો ઉપયોગ કરી શકાશે એવું શિક્ષકો માનતા હતા. હાર્યો જુગારી બમણું રમે એ હિસાબે માર્ચ મહિનામાં નાપાસ થયેલા અનેક વિદ્યાર્થીઓ ઓક્ટોબર મહિનામાં બમણા ઉત્સાહથી પરીક્ષા આપતા હતા. જોકે ઓક્ટોબર મહિનો સત્યના ઉપાસક મહાત્મા ગાંધીના જન્મનો પણ મહિનો છે અને ગાંધીજીએ એક ઉપદેશ એવો પણ આપેલો કે ચોરી ન કરવી. સત્તાવાળાઓનું આ અંગે કોઇએ ધ્યાન દોર્યું અને પછી ઓક્ટોબરની પરીક્ષાઓ ગાંધીજીની જેમ જ ઇતિહાસ બની ગઇ.


હવે હું પુખ્ત થઇ ગઇ હતી અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ (મારા નહીં), મને લઇને બહુ ચિંતિત હતા. મારા કારણે હજારો વાલીઓને અનિદ્રાનો રોગ લાગુ પડવો શરૂ થઇ ગયો હતો. મારા વિરોધીઓ પણ હવે ઉત્પન્ન થવા લાગ્યા હતા અને તેઓ વાલીઓમાં આવેલી જાગૃતિને અકારણ ગણાવી રહ્યા હતા. સૌથી સારી રીતે મને પસાર કરનારા વિદ્યાર્થીઓની તસવીરો અખબારોમાં પ્રથમ પાને ચમકવા લાગી હતી. બધું બહું સારી રીતે ચાલી રહ્યું હતું અને હું હજુ પણ ખુશ હતી. જોકે સમય પોતાની જૂની ટેવ મુજબ જ બદલાઇ રહ્યો હતો અને સફળતાના નશામાં ચૂર એવી મને એનો ખ્યાલ જ નહોતો. ભાવિના ગર્ભમાં શું છે એ કોણ પામી શક્યું છે?


રાજ્યના તમામ મોટા શહેરો અને નાના નગરોમાં મારો બનાવેલો ખાડો કૂદવા માટેના ટ્રેનિંગ કેમ્પો (ટ્યૂશન ક્લાસીસ) ધમધમતા હતા અને શાળામાં ભણાવવાનો પૂરતો પગાર લેતા શિક્ષકો શાળામાં આરામ કરીને માત્ર ક્લાસીસમાં જ ભણાવવા લાગ્યા હતા. અમીર વાલીઓ તો ઠીક, પણ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પણ શબ્દશઃ પેટે પાટા બાંધીને તેમના લાડલા કે લાડલીને આ ક્લાસીસમાં મોકલવા માંડ્યા હતા. બાળક ધો 10 કે 12માં પ્રવેશે એ સાથે જ અનેક ઘરોના બજેટ ફરી જતા હતા. દર વર્ષે મને એવા હજારો કુટુંબોની માહિતી મળતી રહે છે જેમણે મારા કારણે તેમના ટીવી જાણે કે ભંગાર હોય એમ માળિયે ચડાવી દીધા હોય અને ભંગાર જેવા જ લાગતા ગણતરીના સગા-વ્હાલાને ત્યાં જવાનું પણ બંધ કરી દીધું હોય. પરંતુ આ બધું થવાથી વિદ્યાર્થીઓ ભારે તનાવ હેઠળ આવી જાય છે એવું મારા વિરોધીઓ કહે છે, જે સાવ ખોટું છે, કારણ કે વાલીઓ પોતે જ્યાં નથી જવું હોતું ત્યાં વિદ્યાર્થીઓને આગળ ધરી દે છે. હવે તો મારી સામેના યુદ્ધમાં ભભૂતભાઇના ભત્રીજા ભાનુએ કેવું વિરત્વ બતાવ્યું હતું તેના દાખલા દિનુભાઇ પોતાના દિવાસળી જેવા દિકરા દીપને આપવા લાગ્યા હતા. મારી સામે લડાઇની તૈયારીમાં ખપ લાગે એ માટેના ઓજારો અનેક પ્રકાશકોએ બહાર પાડ્યાં અને દર વર્ષે લાખો કમાવા લાગ્યા. આ એ સમય હતો કે જ્યારે મારા વિરુદ્ધ કંઇક આઇ-બ્રો ઊંચા થવા લાગ્યા હતા.
મહાભારતમાં કોઇ અભિમન્યુની વાત આવે છે અને તે ચક્રવ્યૂહના સાત કોઠા વિંધવા નિકળ્યો હોય છે અને સાતમા કોઠામાં પરાસ્ત થાય છે. કારણ કે તેના પિતા અર્જુનના ચાલુ પિરિયડે માતા સુભદ્રાને ઊંઘ આવી ગઇ હતી. મને લાગે છે કે મારા સાત વિષયો પણ આ ચક્રવ્યૂહના સાત કોઠા જેવા જ છે અને જો કોઇ વિદ્યાર્થી બાકીના છ વિષયોમાં ગમે તેટલો હોંશિયાર હોય, પણ એકાદ વિષયમાંથી આપોઆપ કે પછી શિક્ષકની સક્રિય સહાયથી તેનો રસ ઉડી જાય અને તે ચાલુ ક્લાસે નિદ્રાદેવીના શરણે ચાલ્યો જાય તો તે ચોક્કસપણે મારા ચક્રવ્યૂહમાં અટવાઇ જશે અને અટ્ટહાસ્ય કરતો એક જ વિષય તેની માર્કશીટને ચાળણી કરી નાંખશે અને સોનાની થાળીમાં લોઢાની મેખ બનશે.
એ દુર્ઘટનાઓ ઘટવાની શરૂઆત ક્યારે થઇ એ વિશે પણ મને ખ્યાલ નથી, પરંતુ અચાનક જ મારી સામે અનેક લોકોએ કાવાદાવા કરવા શરૂ કરી દીધા. મારી જાણ બહાર સમગ્ર સમાજજીવનમાં મારો ભય એવો તો ફેલાયો હતો કે મારા ડરથી કાચા-પોચા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા લાગ્યા. કેટલાય વિદ્યાર્થીઓ ઘરેથી ભાગી જવા લાગ્યા. અસંખ્ય વાલીઓ પણ એવા હતા જેઓ ભાગી જવા માગતા હતા, પણ મજબૂર હતા. અત્યાર સુધી મારો લાભ માત્ર શિક્ષકો અને શાળાઓ અને ટ્યૂશન ક્લાસીસવાળા લેતા હતા પણ હવે એમાં એક નવો જ વર્ગ ભળ્યો હતો અને તે આ બધાથી રૂપાળું એવું માનસશાસ્ત્રી નામ ધરાવતા લોકોનો બનેલો હતો. લગ્ન કે છૂટાછેડાના કાઉન્સેલિંગની જેમ પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ શરૂ થયું. આ નવા વ્યવસાયને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી અને કેટલાક માનસશાસ્ત્રીઓએ તો 'બોર્ડ એક્ઝામ સ્પેશિયાલિસ્ટ'ના પાટિયા મારી દીધા. આ નિષ્ણાતોનું કહેવું એવું છે કે વિદ્યાર્થી કે વાલીને સહેજ પણ બેચેની લાગે તો તેમનો સંપર્ક કરવો. આ તમામ સ્પેશિયાલિસ્ટને ત્યાં લાંબી લાઇનો લાગી.
મારો હાઉ સહેજ પણ ઓછો ના થાય એ માટે શિક્ષણ બોર્ડે પણ આકરી મહેનત કરી છે. શાળામાં પરીક્ષા આપવા આવતા પરીક્ષાર્થીઓને હિંમત આપવા માટે ગુલાબના ફુલ આપવામાં આવે છે અને પછી તેમને કાંટા જેવા લાગે એવા પેપર આપવામાં આવે છે. કેટલાય નબળા સૈનિકો મારી સામેના યુદ્ધમાં બચી જવા માટે કાપલીઓ સ્વરૂપે બખ્તર પહેરીને આવે છે તેમને યુદ્ધમેદાનમાં શોધી કાઢીને રણમેદાનની બહાર બનાવવામાં આવેલા શમિયાણામાં મોકલી દેવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ પણ રચાઇ છે. પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડ રૂપી રણભૂમિમાં મારી સામે જીવસટોસટની લડાઇ લડતા હોય છે ત્યારે વાલીઓ પણ તેમના મનોબળને ટકાવી રાખવા માટે ખુલ્લા આકાશ નીચે સ્કુટર પર બેઠા રહે છે અને કેટલાક હોંશિયાર વાલીઓ તો માર્ચ એન્ડિંગનો લાભ લઇને અન્ય વાલીઓની વીમા પોલિસી પણ ઉતરાવી લે છે. (ગયા વર્ષે જ એક વીમા એજન્ટ વાલીએ બીજા એક વાલીને તેમના દીકરા માટે વીમો ઉતરાવી લેવા કહ્યું અને ઉમેર્યું કે ન કરે નારાયણ અને તમારો દીકરો જો પરીક્ષાનું પરિણામ જોઇને નારાયણ પાસે પહોંચી જશે તો તમને તેના વીમાના રૂ. 2.50 લાખ રોકડા મળશે. તમારી જાણ ખાતર કે પેલા વાલીએ આ સલાહ માનીને વીમો ઉતરાવી દીધો હતો.)
થોડા વખત પહેલાં મારા વિરોધીઓને બહુ મોટી સફળતા મળવાની સંભાવના સર્જાઇ હતી અને વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આપે એવો તખ્તો ગોઠવાઇ રહ્યો હતો. જોકે મારા અને તેના કરતા પણ મારા ભયના સમર્થકોએ તેનો હાલ પૂરતો તો છેડ ઊડાડી દીધો છે, પણ તેમ છતાં કાંઇ નક્કી કહેવાય નહીં. હું આજે યુવાન નથી રહી અને વૃદ્ધ થતી જાઉં છું, જોકે એક સ્ત્રી તરીકે હું મારી ઉંમર તો તમને નહીં જ કહું, પણ એટલું તો જરૂર કહીશ કે આ જે પરિસ્થિતિ સર્જાઇ છે તેમાં મારો કોઇ દોષ નથી. હું તો આજે પણ નિર્દોષ જ છું. મારા નામની બીક લોકોના મનમાં મેં નથી પેસાડી અને આજે એ સ્થિતિ છે કે હું માત્ર ખેલ જોયા સિવાય કાંઇ કરી શકું એમ નથી. કોઇ આત્મકથામાં નાયક કે નાયિકા સમગ્ર સમાજની માફી માગતા નથી, પણ હું તો મેં નહીં કરેલા અપરાધની માફી પણ માગી રહી છું એવી આશા સાથે કે મારી આ કથની સાંભળીને કોઇ વિરલો ફરી મને નિરુપદ્વવી બનાવવા આગળ આવશે...


Saturday, March 14, 2009

ઉદર જ્યારે બિલાડી સામે હસે છે ત્યારે સમજવું કે દર નજીકમાં જ છે!


પરાગ દવે


ગુજરાતીમાં એક પ્રસિદ્ધ વાર્તા છે, જેમાં એક ઉંદર ઘોળેલું અફિણ ચાટી જાય છે અને પછી રંગમાં આવીને હાંકલા-પડકારા કરે છે કે, 'ક્યાં ગ્યા બિલાડા?!!!' અને જ્યારે જ્યારે આ પ્રકારનું કંઇક કમઠાણ થાય છે ત્યારે લોકો કહે છે, 'લાગે છે, ઉદરડો અફિણ પી ગયો છે!' વિશ્વ-સાહિત્યને સમૃદ્ધ કરવામાં કહેવતોનું પ્રદાન અમૂલ્ય છે. શું દરેક કહેવત જે-તે પ્રદેશની સંસ્કૃતિ અને લોકોના મિજાજને આબેહૂબ પ્રગટ કરે છે, જે રીતે વન-લાઇનરો તેના સર્જકના મિજાજને? ઓસ્કાર વાઇલ્ડનું એક તોફાની વિધાન છેઃ ભૂતકાળ વગરની સ્ત્રીને કોઇ ભવિષ્ય નથી!

કહેવતોમાં પ્રકૃતિ છવાઇ જતી હોય છે. શિર્ષકમાં લખેલી કહેવત નાઇજિરિયન છે. આફ્રિકાની અન્ય મજેદાર કહેવતમાં એમ કહેવાયું છે કે વરસાદ ગમે તેટલો પડે, પણ તેનાથી ઝિબ્રાના શરીર પરના પટ્ટા ધોવાઇ જતાં નથી! (ટી.વી, ચેનલો પર સવાર-બપોર-સાંજ અને રાત એમ ચાર વખત ભક્તજનોને સાચો મારગડો બતાવવા માટે એક-એક કલાક પ્રવચન આપતાં રહેતા મનુષ્યજન્મઉદ્ધારકોને આ કહેવત કહેવા જેવી ખરી, જોકે કહેવાથી પણ ફર્ક નહીં પડે, કારણ કે વરસાદ ઝિબ્રાના પટ્ટા ધોઇ આપતો નથી!) હેલ્થ-કોન્શિયસનેસ દર્શાવવા માટે આપણે ત્યાં વારંવાર બોલાય છે કે તંદુરસ્ત શરીર હોય તો મન પણ તંદુરસ્ત રહે છે. ઓરિજિનલ ગ્રીક કહેવત છે, Sound mind in sound body. ગુજરાતીમાં આપણે બોલતા રહીએ છીએ કે ધીરજના ફળ મીઠા અને જર્મન લોકો કહે છે કે ધીરજ એ કડવો છોડ છે પણ તેના ફળ મીઠા હોય છે. અલગ પ્રદેશ અને સંપૂર્ણ અલગ સંસ્કૃતિ, પણ ડહાપણની ભાષા સમગ્ર વિશ્વમાં એક જ છે?

'આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય' એવી આપણી કહેવતની સૌથી નજીક આવતી ચીની કહેવત છે, તરસ્યા થાવ એ પહેલાં કૂવો ખોદો! આપણી જેમ જ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતી ચાઇનિઝ પ્રજા કહેવતોના વિશ્વમાં પણ એટલી જ સબળ છે. જેની લશ્કરી ક્ષમતાથી આજે અમેરિકા પણ ચિંતિત છે એ ચીન દેશમાં એક કહેવત એવી છે કે એક હજાર સૈનિકો આસાનીથી મળી રહે છે પણ એક સેનાપતિ મેળવવો એટલો આસાન નથી. ચીનાઓ કહેતા કે હજુ સુધી કોઇ મનુષ્ય સૂર્યને સાંકળથી બાંધીને એને ફરતો રોકી શક્યો નથી. આજે પોતાની સસ્તી પ્રોડક્ટ્સને દુનિયાભરના બજારોમાં ઠાલવતા ચીનની એક કહેવત એવી છે કે જેનો ચહેરો હસતો ના હોય એણે ક્યારેય દુકાન ના શરૂ કરવી જોઇએ! કેટકેટલું કહી જાય છે આ કહેવતો? ગુજરાતી કવિતાની જેમ કહેવતો રચવા માટે પણ 'ખાસ' પ્રકારના વાતાવરણની જરૂર પડી હશે એના સર્જકોને? ચીનની વધુ એક કહેવત વાંચોઃ જન્મ થવાની એક જ રીત છે, પણ મરી જવાની હજારો રીતો છે. (કવિતા સાંભળવી છે એ કોણ બોલ્યું?)

ચર્ચ જેટલું નજીક, ઇશ્વર એટલો દૂર, યુરોપની જૂની કહેવત છે. કોલમિસ્ટ બક્ષીને વાંચવાની મજા એ હતી કે તેઓ વિશ્વભરની કહેવતોના ઉપયોગથી લેખને બાંધતા હતા. બક્ષીને વાંચતા રહેવાથી આપોઆપ કહેવતો મળતી રહેશે. જૂની રોમન કહેવતઃ જે ગુલામને બે માલિકો છે તે મુક્ત મનુષ્ય છે. બક્ષી લેટિન કહેવત લખે છે કે ફેશન જુલ્મગાર કરતાં પણ વધારે શક્તિમાન હોય છે. જર્મન કહેવત છે કે જૂઠના પગ ટૂંકા હોય છે તો સામે આપણી હિન્દી કહેવત એવું કહે છે કે જૂઠ કે પૈર નહીં હોતે! કહેવતોમાંથી સત્ય મળી શકે? ખબર નથી, પણ પોલેન્ડની કહેવત છે કે જે માણસને નાચતા નથી આવડતું, તે એમ વિચારે છે કે બેન્ડ સારું નથી!

વિશ્વ ઇતિહાસમાં મોભાનું સ્થાન ધરાવતી આરબ પ્રજાની એક અત્યંત ગૂઢ કહેવતા હતીઃ બીજાઓ ચિંતા કરે છે કે આવતીકાલ શું લાવશે, પણ મને ગઇકાલે જે બની ગયું છે તેનો ડર છે. ફરી એક વખત ફારસી અને ઉર્દુ શબ્દોને ગુજરાતીમાં પ્રવેશ કરાવનારા બક્ષીનું સ્મરણ થાય છે. પાસબુક ઉપરાંત પણ કંઇક વાંચતા અને ચેકબુક સિવાય પણ કંઇક લખતા એવા આપણને સૌને ગમે એવી એક લેટિન કહેવત તેમણે આપી હતી કે, સાહિત્ય વિનાનું જીવન એ મૃત્યુ છે. જાપાનિઝ કહેવત કહે છે કે વૃક્ષની ડાળીઓ બરફના ભારથી ઝૂકતી નથી અને ઇરાની કહેવત સમજાવે છે કે દરેક ગુલાબનો સૌથી નિકટનો મિત્ર હોય છેઃ કાંટો!
લેખના અંતે ફરી એક વખત દિમાગ ચીન પહોંચી જાય છે. દિવાલની પાછળ હજારો વર્ષો સુધી છૂપાઇને રહેલી રહસ્યમય રૂઢિચૂસ્ત ચીની પ્રજા એક વખતે એવી કહેવત વાપરતી હતી જેના અંગે ચિંતન કરતાં આજે પણ દિમાગ ચકરાવે ચડી જાય. ચીનાઓ કહેતાઃ પુરુષો અમીર થયા પછી જ બગડી જાય છે, સ્ત્રીઓ બગડી જાય છે પછી પૈસાદાર થાય છે...આ કહેવતોનું અજાયબ વિશ્વ છે!!!

Monday, March 9, 2009

શેરબજાર અને એનાલિસ્ટોઃ ના તુમ હમેં જાનો, ના હમ તુમ્હે જાને....!

પરાગ દવે

ભારતીય શેરબજારનો સેન્સેક્સ હજુ વધુ તૂટીને 7,500ની સપાટી દર્શાવી શકે એવી શક્યતા કેટલાક બજાર વિશ્લેષકોએ વ્યક્ત કરી છે. જાન્યુઆરી-2008માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 21,000 પોઇન્ટની સપાટીથી ઉપર ચાલી રહ્યો હતો અને તેમ છતાં એક પણ શેર આઉટ પર્ફોર્મર નહોતો. માત્ર ભારતના જ નહીં, પણ વિશ્વભરના એનાલિસ્ટોના કમ્પ્યુટરમાં જાણે કે કોઇ વાઇરસ પ્રવેશી ગયો હોય એમ તેઓ ભારતીય શેરબજારને 21,000ની સપાટી પર પણ 'આકર્ષક' ગણાવી રહ્યા હતા. 2008ની દિવાળી વખતે શેરબજાર 25,000નો આંક વટાવશે એવું ફંડામેન્ટલ્સના આધારે છાતી ઠોકીને કહેનારા એનાલિસ્ટોની સંખ્યા ઘણી વધારે હતી. રોકાણકારોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન છે કે એનાલિસ્ટો અને શેરબજાર વચ્ચે કેવા સંબંધ છે?

તેઓ વચ્ચે ભારત-પાકિસ્તાન જેવા સંબંધ છે. એનાલિસ્ટો ભારતની જેમ વર્તે છે અને તેઓ તેમના કમ્પ્યુટરમાં શેરબજારના ટેક્નિકલ્સનો અભ્યાસ કરે છે ત્યારે શેરબજાર તેમને વિશ્વાસ અપાવે છે કે હવે તેઓ ખોટા નહીં ઠરે. આ પરથી એનાલિસ્ટો શેરબજારની ભાવિ વર્તણૂંક વિશે સ્પષ્ટ અભિપ્રાય આપે છે. જોકે બીજા દિવસે સવારે બજાર ખૂલતાની સાથે જ પોતે એનાલિસ્ટોને આપેલી ખાતરીથી ફરી જાય છે અને બપોર સુધીમાં તો બધા ટેક્નિકલ્સ પણ ફેરવી દે છે અને એ બધુ ફરી જવાથી સરવાળે રોકાણકારોની પથારી પણ ફરી જાય છે.

અમેરિકામાં સબ-પ્રાઇમ કટોકટી શરૂ થઇ ચૂકી હતી અને ભારતીય બજારના 21,000ના આંક વખતે એનાલિસ્ટો જણાવતા હતા કે, "બજારને એક તંદુરસ્ત કરેક્શનની જરૂર છે અને એમ થતાં બજાર 20,000ની સપાટી ગુમાવશે, પરંતુ ત્યારબાદ ફરી રેલી શરૂ થશે અને તમામ BRIC (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના) દેશોના શેરબજાર વિદેશી રોકાણકારોથી છલકાઇ જશે." એનાલિસ્ટોની ધારણા મુજબ જ બજારમાં કરેક્શન આવ્યું પણ તકલીફ એક જ થઇ કે એ કરેક્શન 13,000 પોઇન્ટનું છે. દરમિયાન. એક સમયે રોકાણકારો અને સટોડિયાઓથી ઊભરાતા બ્રોકરેજ હાઉસિસ હાલમાં લગ્ન સમારંભ પૂરો થયા પછીની વાડી જેવી સ્થિતિમાં છે. આગામી બોર્ડ પરીક્ષાઓમાં કદાચ પ્રશ્ન પણ પૂછાઇ શકે છેઃ એક બ્રોકરેજ હાઉસની આત્મકથા!

છેલ્લાં ચાર વર્ષથી હું બિઝનેસ જર્નાલિસ્ટ તરીકે સક્રિય છું અને તમામ એનાલિસ્ટોએ હંમેશા એક વાત પર ભાર મૂક્યો છે કે શેરબજારમાં હંમેશા લાંબાગાળાના રોકાણકારો સફળ થાય છે. ડે-ટ્રેડરો નાણાં ગુમાવે છે, પરંતુ જે લોકો ચાર કે પાંચ વર્ષ માટે રોકાણ કરે છે તેઓ માલામાલ થઇ જાય છે. આજે આપણી આસપાસ એવા સેંકડો લાંબાગાળાના રોકાણકારો છે, જેમણે ચાર-પાંચ વર્ષ પહેલાં બજાર જ્યારે 5000-6000 પોઇન્ટની સપાટીએ હતું ત્યારે રોકાણ કર્યું હતું. સર્વોચ્ચ સપાટી પર પણ તેઓએ શેર વેચ્યાં નહોતા અને ચાર-પાંચ વર્ષ સુધી રોકાણ જાળવી રાખવા માટે મક્કમ રહ્યા હતા. હવે એક પૂરું ચક્ર ફરી ગયું છે અને આ લોંગટર્મ ઇન્વેસ્ટરોએ13,000 પોઇન્ટનું 'કરેક્શન' જોયું છે. બજાર ફરીથી 8,000 પોઇન્ટની સપાટી પર છે અને લાંબાગાળાના રોકાણકારો પાંચ વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં ફરી આવી ગયા છે.

છેલ્લાં ચાર દિવસથી હું વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને શેરબજારના ટેક્નિકલ્સનો અભ્યાસ કરી રહ્યો છું અને મારા એનાલિસિસ મુજબ વર્તમાન સ્તરે ઇક્વિટી માર્કેટ અત્યંત આકર્ષક છે અને જો કોઇ નવા રોકાણકારો હાલના સ્તરે બજારમાં રોકાણ કરીને પાંચ વર્ષ માટે એ રોકાણ જાળવી રાખશે તો તેઓ અનેકગણો નફો મેળવશે. તમે રોકેલી મૂડી પાછળ તમે કેટલાક શૂન્યો ઉમેરી શકશો.... રિચર્ડ બર્ટને એક વખત કહેલું કે શૂન્યોનું આકર્ષણ મારે માટે બહુ જીવલેણ હતું...

શેરબજારમાં અનેક લોકોએ લાખના બાર નહીં, પણ અગિયાર હજાર થઇ જતાં જોયા છે. પણ આશા અમર છે. અનેક લોકો શેરબજારના સહારે જીવનનૈયાને ચલાવતા રહ્યા છે અને અત્યાર સુધી કમાયા બાદ આ મંદીમાં નાણાં ગુમાવ્યા છે, પરંતુ તેઓ જાણે છે કે, 'જે પોષતું તે મારતું...'! આપણે બધા માનીએ છીએ કે સાહસ વિના સિદ્ધિ નથી. હાલમાં રોકાણ કરવું જોઇએ, કારણ કે મોટાભાગના એનાલિસ્ટો માને છે કે બજાર બહુ સારો દેખાવ નહીં કરે! અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા ભારતનું શેરબજાર તમને સાહસ કરવા માટે સાદ કરી રહ્યું છે... શું તમે તૈયાર છો, શૂન્યોનો ઉમેરો કરવા માટે???

ચૂંટણીઓ: બેનમૂન કલા સાથેનું મનોરંજન

પરાગ દવે
લોકસભાની ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યારે એક્વેરિયમની માછલીઓ અને મહાસમુદ્રોની માછલીઓ માની રહી છે કે યુવા માછલીઓ (સોરી, યુવા મતદારો) બહુ ઉપયોગી થઇ પડશે. આગામી દિવસોમાં જો ફિલ્મો ફ્લોપ જાય તો તેને માટે મંદી નહીં, પણ આ ચૂંટણી જવાબદાર હશે, કારણ કે પ્રેક્ષકોને આ ચૂંટણીઓ બેનમૂન કલા સાથેનું મનોરંજન પૂરું પાડશે. આમ જુઓ તો લોકસભાની આ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે કેવા-કેવા સક્ષમ કલાકારો વચ્ચે સ્પર્ધા છે, માયાવતી, લાલુ પ્રસાદ, કરુણાનિધિ, શરદ પવાર અને સૌથી હોટ ગણાતા એચ ડી દેવગૌડા ચમત્કારની અપેક્ષા સાથે મતદારો સમક્ષ જશે. હાલમાં જ બાયપાસ સર્જરી કરાવીને પરત ફરેલા ડો. મનમોહન સિંઘ હાલમાં હીરો છે, પરંતુ તેઓ પોતે જ જાણતા નથી કે તેમના પક્ષના બેનર હેઠળ જ નવી ફિલ્મ બનશે તો પણ તેઓ તેમાં હીરો હશે કે કેમ. જોકે સૌથી વધુ ગૂંચવણ કોંગ્રેસના રાજમાતા તથા યુવરાજ અનુભવી રહ્યા છે. ફિલ્મોમાં પરંપરાગત રીતે જે સ્થાન કપૂર ફેમિલીનું રહ્યું છે તે જ સ્થાન રાજકારણમાં ધરાવતા ગાંધી-નહેરુ કુટુંબના યુવરાજ દેશભરમાં ઘૂમી રહ્યા છે, પરંતુ તેઓ શું કરવા માગે છે તે કોઇને સમજાતું નથી અને કદાચ તેઓ પણ નથી જાણતા. હા, તેઓ જે રીતે ટોળાઓ વચ્ચે દોડી જાય છે તે જોઇને એક સમિક્ષકે એવું કહ્યું છે કે તેઓ કદાચ ભરપૂર કુતુહલ વૃત્તિ ધરાવતા કલાકાર છે, ભીડ જોઇને તેમને વિચાર આવે છે કે નક્કી કંઇક થયું હશે તો જ આટલા બધા લોકો એકઠા થાય. સિક્યોરિટી સ્ટાફ તેમને એટકાવીને કહે છે કે આ લોકો તમારા કારણે ખેંચાઇને આવ્યા છે અથવા તો તમારા માટે લાવવામાં આવ્યા છે, પરંતુ યુવરાજ તેમને સામે પૂછે છે કે મારામાં એવું શું છે કે તેઓ મને જોવા આવ્યા છે? આ પ્રશ્ન સાંભળીને સિક્યોરિટી સ્ટાફ પણ વિચારમાં પડી જાય છે કે વાત તો સાચી છે હો. એટલામાં યુવરાજ શું થયું છે એ જાણવા માટે ટોળામાં દોડી જાય છે અને બીજા દિવસે તમામ અખબારોમાં સમાચાર છપાય છે કે યુવરાજ સલામતિને ગણકાર્યા વિના યુવાનોને મળવા દોડી ગયા! આ યુવરાજના ભવિષ્યને લઇને રાજમાતા ઘેરી ચિંતામાં છે.

અત્યાર સુધીની લોકસભા ફિલ્મોમાં અટલજીના સહાયક અભિનેતા તરીકેનો રોલ કરતા આવેલા એલકે અડવાણી 82 વર્ષની ઉંમરે મુખ્ય ભૂમિકા ભજવવા ઉતાવળા છે. વારંવાર ભૂતકાળમાં સરી જવાની તેમની શૈલી અનેક વૃદ્ધોને આકર્ષી રહી છે. તેમનું કોઇપણ વક્તવ્ય 1947થી શરૂ થાય છે અને 2009 સુધી પહોંચતા પહોંચતા તેમણે બીજી સભા સંબોધવાનો સમય થઇ જાય છે. જોકે ગુજરાતના મુખ્યપ્રધાન અને ચૂંટણી જીતવાની કલાના સાધક નરેન્દ્ર મોદી સહાયક અભિનેતા હોવાથી અડવાણી માને છે કે તેમણે ચહેરા પર વધુ હાવભાવ લાવવાની જરૂર નહીં પડે. ભાજપના કાર્યકરો પણ માને છે કે જો અડવાણી પર્દા પર બંને હાથ ઘસવાની તેમની લાક્ષણિક અદા છોડી દે તો તેઓ આક્રમક પ્રચાર કરી શકશે.

આગામી દિવસોમાં ચૂંટણીઓ અંગેના વધુ નિરિક્ષણો આ બ્લોગ પર આવતા રહેશે...

[એક તરફ ઘણા ચિંતકો એવી ચિંતામાં જીવી રહ્યા છે કે ગુજરાતી ભાષા આગામી વર્ષોમાં મૃતઃપ્રાય થઇ જશે અને બીજી તરફ જવાન ગુજરાતી છોકરા-છોકરીઓ ગુગલ પર સર્ચ કરીને ગુજરાતી સાહિત્ય શોધતા રહે છે. ભાષા પાણી જેવી છે, એને વહેવા દેવી જોઇએ, એ અનેક અજાણ્યા કિનારાઓ સાથે અફળાઇને આગળ વધતી જાય છે, અને કોઇ એને બાંધી શકતું નથી એ પણ સત્ય છે. ભાષા પોતાનો માર્ગ શોધી લેશે. આજે તમામ ભાષાઓને ઇન્ટરનેટ જેવું એક અત્યંત સબળ માધ્યમ સુલભ છે. ગુજરાતી ભાષા આજે બ્લોગના ઉપયોગ દ્વારા ફેલાતી જાય છે. શિકાગોમાં બેઠેલા કરોડ઼પતિ એનઆરજી અને શિહોરની શાળામાં ભણતો મધ્યમવર્ગીય વિદ્યાર્થી- બંને બ્લોગ વાંચી રહ્યા છે અને દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના વિચારો કમ્પ્યુટરના ટચૂકડા મોનિટર દ્વારા વ્યક્ત થઇ રહ્યા છે.

છેલ્લાં 15 દિવસના આંદોલન બાદ અંતે મને ગુજરાતીમાં બ્લોગ લખવા માટે જરૂરી ફોન્ટ આપવામાં આવ્યા છે. આજે હું મારો બ્લોગ લખી રહ્યો છું તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં અંગત મિત્રો કેયૂર કોટક, દિવ્યેશ નાગર અને નિશાંત ફડિયાનો સક્રિય ફાળો છે (આથી જો બ્લોગ પસંદ ના પડે તો માત્ર મને નહીં પણ આ ત્રણેને પણ સરખા જવાબદાર ગણીને સજા આપવી, જો બ્લોગ પસંદ પડે તો મને અભિનંદન આપી દેવાથી ચાલશે!).]