Monday, July 4, 2016

ભીમ, ગામા, દારાસિંઘ, ‘સુલતાન’: પહેલવાનોનું આકર્ષણ અમર છે !


-પરાગ દવે


વિભાજન વખતે વિશ્વપ્રસિદ્ધ ગામા પહેલવાને (ગુલામ મોહમ્મદ) લાહોર સ્થાયી થવાનો નિર્ણય કર્યો. લાહોર વિભાજનની આગમાં ભડકે બળી રહ્યું હતું અને ગામા પહેલવાનના રહેઠાણની નજીકની હિન્દુ કોલોની પર હુમલો કરવા એક હિંસક ટોળું પહોંચ્યું. કોલોનીની બહાર ૬૫ વર્ષના ગામા પહેલવાન ઊભા રહ્યા અને હિંસક ટોળાને પડકાર ફેંક્યો. કહેવાની જરૂર નથી કે રુસ્તમે ઝમાના જેની રક્ષામાં ઊભા હતા કોલોની પર હુમલો કરવાની આગેવાની લેવાની ટોળામાં કોઇની હિંમત નહોતી અને વિલા મોંએ પરત ફરી જવામાં તેમને સલામતિ લાગી!
પહેલવાનીનો પહેલો પાઠ છે. પહેલવાનો કસરત અને ડાયટ દ્વારા અસાધારણ શક્તિ મેળવવાની શરૂઆત કરે પહેલાં તેમનું મન શુદ્ધ અને નિર્મળ બને તેની તકેદારી રાખવામાં આવે છે. કુસ્તીસ્પર્ધામાં હરિફ પહેલવાનને ધૂળ ચાટતો કરવા સિવાય સમાજ જીવનમાં તેઓ અમાનુષી શક્તિનો દુરુપયોગ ના કરે અને સમાજને કંઇક ઉપયોગી થાય તે માટે તેમને માનસિક રીતે સજ્જ કરવામાં આવતા.
(ઉપર) ધ ગ્રેટ ગામા  અને (નીચે) દારા સિંઘ અને કિંગ-કોંગ


ગામા પહેલવાને તો એક પણ કુસ્તીસ્પર્ધામાં પરાજય જોયો નહોતો પરંતુ સક્ષમ હરિફના અભાવમાં પણ તેઓ પોતાની શક્તિ લોકો સમક્ષ અવનવી રીતે બતાવતા. ૧૯૧૦માં લંડનમાં વિશ્વસ્તરના રેસલર્સ સામે શ્રેણીબદ્ધ વિજય મેળવીને તેઓ રુસ્તમે ઝમાના બન્યાં તે અગાઉ તેમણે ભારતમાં અસંખ્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ડિસેમ્બર ૧૯૦૨માં સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં કુસ્તી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ગામાને જોવા માટે વિશાળ જનમેદની ભેગી થઇ હતી. સ્વાભાવિક રીતે અહીં ગામાને ટક્કર આપે તેવા કોઇ પહેલવાન નહોતા અને અંતે ગામા ત્યાં પડેલો એક વિશાળ પથ્થર ઊંચકીને થોડું ચાલ્યા હતા. પથ્થર ગામાએ ઊંચક્યો હોવાની નોંધ પથ્થર પર કોતરવામાં આવી. પથ્થર લગભગ ,૨૦૦ કિલો વજનનો છે અને આજે પણ સયાજીરાવ મ્યુઝિયમમાં તમે તે જોઇ શકો છો. મ્યુઝિયમમાં તેને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે ૨૫ વ્યક્તિનું સામૂહિક બળ પણ ઓછું પડ્યું હતું અને અંતે હાઇડ્રોલિક મશીન દ્વારા તેને ખસેડવામાં આવ્યો હતો! થોડાં વર્ષો પર મિત્ર તુષાર તેરેએ વડોદરામાં ગામા પહેલવાને કરેલા આ શક્તિપ્રદર્શનની અને આ સ્ટોનની સ્ટોરી પણ કરી હતી.
ગામાએ વડોદરામાં ઊંચકેલો ૧,૨૦૦ કિગ્રાનો સ્ટોન (ફોટો કર્ટસી: તુષાર તેરે)
એક પહેલવાન માટે પાંચ ફીટ સાત ઇંચની ઊંચાઇ ઓછી ગણાય પરંતુ ધ ગ્રેટ ગામા પહેલવાનીના લિટલ માસ્ટર હતા. અમૃતસરમાં પહેલવાનોના કુટુંબમાં જન્મેલા ગ્રેટ ગામાની તાલિમ પાંચ વર્ષની ઉંમરે શરૂ થઇ હતી અને જોધપુરના મહારાજાએ યોજેલી અંગ કસરતની સ્પર્ધામાં ૪૦૦ જેટલા પહેલવાનો વચ્ચે ૧૦ વર્ષના ગામાએ છેલ્લાં ૧૫ સ્પર્ધકોમાં સ્થાન મેળવતાં મહારાજાએ અસામાન્ય બાળકને વિજેતા જાહેર કરી દીધો હતો. રહિમબક્ષ સુલતાનીવાલા સિવાયના તમામ કુસ્તીબાજોને ૧૯૧૦ સુધીમાં ગામાએ પરાજિત કરી દીધા હતા અને ત્યારબાદ તેઓ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા લંડન પહોંચ્યા. ઓછી ઊંચાઇના કારણે તેમને ચેમ્પિયનશીપમાં પ્રવેશ આપવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો. પણ ગામા જેનું નામ. તેમણે ચેમ્પિયનશીપના તમામ કુસ્તીબાજોને કુસ્તી માટે પડકાર ફેંક્યો અને પડકાર સ્વીકારનારા પ્રથમ અમેરિકન રેસલર બેન્જામિન રોલરને આસાનીથી હરાવ્યા બાદ બીજા દિવસે ૧૨ કુસ્તીબાજોને જમીનદોસ્ત કરી દીધા અને વટ કે સાથ ચેમ્પિયનશીપમાં પ્રવેશ કર્યો! ૧૦ સપ્ટેમ્બર, ૧૯૧૦ની ઐતિહાસિક કુસ્તીમાં તત્કાલિન વર્લ્ડ ચેમ્પિયન પોલેન્ડના સ્ટેનિસ્લોસ બિસ્ઝ્કોને ગામાએ ગણતરીની મિનિટોમાં પછાડી દીધા અને ત્યારબાદ બે કલાક ૩૫ મિનિટ સુધી બિસ્ઝ્કો સ્થિતિમાં રહ્યા. મેચ જો કે ડ્રો રહી અને બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. મેચનો સમય વિતી જવા છતાં બિસ્ઝ્કો સ્થળની નજીકમાં પણ ફરક્યાં નહીં અને અંતે ગામાને રુસ્તમે ઝમાના (વર્લ્ડ ચેમ્પિયન) ઘોષિત કરવામાં આવ્યા.  ૧૮ વર્ષ બાદ ૧૯૨૮માં ફરી વખત ભારતમાં પટિયાલા ખાતે બંને પહેલવાનોની ફાઇટનું આયોજન થયું. ભારતના અનેક રાજાઓ સહિતની તત્કાલિન સેલિબ્રિટી સહિત કુલ ૬૦,૦૦૦ જેટલા લોકો ખાસ બાંધવામાં આવેલા સ્ટેડિયમમાં મલ્લયુદ્ધ જોવા એકઠાં થયા હતા. વખતે ગામાની ઉંમર ૪૬ વર્ષ અને બિસ્ઝ્કોની ઉંમર ૪૯ વર્ષ હતી અને બિસ્ઝ્કોએ ૧૯૧૦ની હારનો બદલો લેવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. વર્ષો વિતવા છતાં ગામાની તાકાતમાં લેશમાત્ર ઘટાડો થયો નહોતો અને માત્ર ૪૨ સેકન્ડ, રિપિટ, ૪૨ સેકન્ડમાં ગામાએ પોલિશ હરિફને રિંગની બહાર ફેંકી દીધો!
ગામા કે દારાસિંઘની ડાયટ હોય કે તેમની કસરત, તેઓ હંમેશા લોકમાનસમાં અનેરું આકર્ષણ જમાવતા રહ્યા છે. ગામા દરરોજ પાંચ હજાર દંડ અને ત્રણ હજાર બેઠક કરતાં અને ૪૦ પહેલવાનો સાથે કુસ્તી કરતા તે કિંવદંતી અતિશયોક્તિભરી લાગે, પણ તેમની તાકાતના પુરાવા પણ માન્યામાં ના આવે તેવા છે! દરરોજ સાડા સાત લિટર દૂધ ઉપરાંત સાડા સાતસો ગ્રામ બદામને ફ્રુટ જ્યુસમાં મેળવીને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવતું ટોનિક ડ્રિંક તેઓ પીતાં.
ગામા પછી વિશ્વસ્તરે ભારતીય પહેલવાનીનો ડંકો વગાડનારા રુસ્તમે હિંદ દારાસિંઘ પણ તનતોડ કસરત સાથે દરરોજ ત્રણ-ચાર લિટર દૂધ, ૨૫૦ ગ્રામ ઘી, ૨૫૦ ગ્રામ બદામ અને કલાક સુધી ખાસ રીતે તૈયાર કરવામાં આવતો ચિકન સુપ પીતાં હોવાના ઉલ્લેખો છે. તેમાં કેટલું તથ્ય છે તે અંગે ચર્ચા થઇ શકે છે પરંતુ ૧૩૦ કિગ્રા વજન ધરાવતા દારા સિંઘે લગભગ ૨૦૦ કિગ્રાના ઓસ્ટ્રેલિયન પહેલવાન કિંગ કોંગને બે હાથે ઊંચકી, ગોળ-ગોળ ફેરવીને રેફરીની દરમ્યાનગીરી બાદ રિંગની બહાર ફેંકી દીધો હતો તે રેસલિંગ વર્લ્ડ ક્યારેય નહીં ભૂલી શકે. દારા સિંઘની કુસ્તી જોવા માટે દેશ-વિદેશમાં હજારો લોકો ભેગાં થતાં અને તેઓ જ્યારે સિનેમામાં એક્ટર તરીકે પ્રવેશ્યા ત્યારે બોલિવુડે પણ તેમની અપ્રતિમ તાકાત દર્શાવતા સિન શૂટ કરવામાં કોઇ કચાશ રાખી નહોતી! પાંડવ ભીમસેનની વીરતા અને તાકત અપ્રતિમ હતી અને આજે
ભારત હજારો વર્ષોથી સર્વોત્તમ પહેલવાનો પકવતો રહ્યો છે. રામાયણમાં હનુમાન, વાલી, કુંભકર્ણ, અંગદ, જાંબવાન જેવા બળુકા મલ્લનો ઉલ્લેખ છે તો મહાભારત સર્વકાલિન મહાન મલ્લ યોદ્ધાઓ—કંસ, ચાણૂર, જરાસંધ, બળરામ, ભીમસેન અને દુર્યોધનના મલ્લયુદ્ધોથી છલોછલ છે. શ્રીકૃષ્ણ પણ અજેય મલ્લ હોવાના ઉલ્લેખ મળે છે. દિલ્હીના છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો સેનાપતિ ચંડપુડિર (ચામુંડ) મહાભારતકાળના વીર વારસાનો પ્રતિનિધિ ગણાતો અને ‘પૃથ્વીરાજરાસો’માં કવિ ચંદ બરદાઇએ તેના મલ્લયુદ્ધોનું રસપાન કરાવ્યું છે. આ મલ્લ એટલે જ હાલનો પહેલવાન.  પ્રાચીન સાહિત્ય મુજબ મલ્લકુસ્તી (પહેલવાની)માં હનુમંતિ, જામ્બવંતિ, જરાસંધી અને ભીમસેની એમ ચાર સૌથી મહત્ત્વની સ્ટાઇલ છે અને કોઇપણ પહેલવાન તેનો ઉપયોગ કરીને જ હરિફને ધૂળ ચાટતો કરી શકે છે. જોકે, મોગલ શાસક ઔરંગઝેબે 17મી સદીમાં નુરુદ્દીન નામના પહેલવાનને સ્પોન્સર કર્યો હોવાના ઉલ્લેખો છે. નુરુદ્દીનને ઔરંગઝેબ ક્યા દેશથી લાવ્યો હતો એ અંગે પ્રમાણભૂત માહિતી મળતી નથી પરંતુ ત્યારબાદ ભારતમાં કુસ્તીસ્પર્ધાઓમાં નૂરેવાલા, કાલુવાલા અને કોટવાલા જેવી અખાડા શાળાઓના સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો.
શરૂ-શરૂમાં સ્પર્ધાત્મક મલ્લયુદ્ધમાં પરિણામ નિશ્ચિત જ રહેતુઃ એક હરિફની વીરગતિ. સભ્યતાના વિકાસ સાથે  કુસ્તીમાં સલામતિના વિવિધ નિયમો અમલી બન્યાં અને ખતરનાક ટેક્નિકના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યાં. સમયાંતરે અખાડાની રચના અને પદ્ધતિસરની તાલિમ તથા ડાયટની પણ શરૂઆત થઇ. જ્યારે રાજાઓ પહેલવાનોના આશ્રયદાતા બન્યાં અને રાજ્ય દ્વારા કુસ્તી સ્પર્ધાઓનું આયોજન થવા લાગ્યું ત્યારે આ રમત ટોચ પર પહોંચી.
સ્વતંત્રતા અને વિભાજનના પગલે અનેક પરંપરાઓનો અંત આવી ગયો એ જ રીતે પહેલવાની પરંપરાનો પણ લગભગ અંત આવ્યો. પહેલવાની અત્યંત ખર્ચાળ શોખ અને કરિયર ગણાતી રહી છે અને પંજાબના મહારાજાઓ સશક્ત પહેલવાનોને મહાશક્તિશાળી બનાવવા માટે વિપુલ ધન ફાળવતા. વિભાજન બાદ પંજાબના બે ભાગ પડ્યાં અને વિવિધ કારણોસર રાજાઓ પહેલવાનોને આશ્રય આપવાથી દૂર થતા ગયા. 
દારાસિંઘના અવસાનના ચાર વર્ષ બાદ બોલિવુડ ફરી પહેલવાનીની રંગે રંગાઇ રહ્યું છે અને સલમાનખાન સુલતાન અને આમિરખાન દંગલ દ્વારા પહેલવાનીના કરતબ રૂપેરી પડદે બતાવવા આવી રહ્યા છે. સલમાનખાનની લોકપ્રિયતા જોતાં ફિલ્મ ~૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ કેટલા દિવસમાં કરશે તેની ચર્ચા ચાલી રહી છે પરંતુ દબંગખાનના પહેલવાન અવતારને જોવા માટે લોકોમાં કંઇક વધારે આતુરતા છે અને તેનું કારણ છે પહેલવાની પ્રત્યે આમજનતાનું આકર્ષણ. સુલતાન અને દંગલમાં પહેલવાની કેટલી છે અને બોલિવુડ કેટલું છે તો ફિલ્મો રિલિઝ થાય ત્યારે જાણવા મળશે પરંતુ બંને સુપરસ્ટારે લોકમાનસમાં પહેલવાનો પ્રત્યેનો પ્રેમ જરૂર ફરી જન્માવ્યો છે!

No comments:

Post a Comment