Saturday, August 19, 2017

બધા વ્હોટ્સએપ કોન્ટેક્ટને આ મેસેજ મોકશો તો નાસા ચંદ્ર પર ફ્રી પ્લોટ આપશે!

-પરાગ દવે

“આ મેસેજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને મોકલ્યો છે. અમેરિકામાં બરફના તોફાન વખતે ભારતે મીઠું મોકલીને બરફ ઓગાળવામાં મદદ કરી હતી તેથી હું ચીન સામેના યુદ્ધમાં ભારતને ટેકો આપું છું. આ મેસેજ જો એક લાખ વખત વ્હોટ્સએપ ફોરવર્ડ થશે તો હું ભારતને એક અત્યાધુનિક ફાઇટર પ્લેન ભેટમાં આપીશ. દર એક લાખ મેસેજ ફોરવર્ડ થવા પર એક-એક વિમાન આપીશ. મહેરબાની કરીને આ મેસેજ ફોરવર્ડ કરો. તમારા એક મેસેજથી દેશને ઘણો લાભ થશે.”
“NASAએ ચંદ્ર અને મંગળ પર પૃથ્વીવાસીઓને ફ્રીમાં પ્લોટ આપવાનું ચાલુ કર્યું છે. ભારતની જે વ્યક્તિ આ મેસેજને તેના ફોનમાં સેવ તમામ કોન્ટેક્ટને ફોરવર્ડ કરશે તેને ઓટોમેટિક પ્લોટ મળશે. NASAએ તમે મેસેજ મોકલો છો કે નહીં એ ચેક કરવા માટે વોટ્સએપ સાથે હાથ મિલાવ્યા છે. તમે તમારા બધા કોન્ટેક્ટને આ મેસેજ મોકલશો પછી બે દિવસમાં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર NASA પ્લોટ એલોટમેન્ટનો લેટર મોકલશે.”
ઉપરના બંને મેસેજ સાવ ખોટ્ટા છે અને મેં જાતે બનાવ્યા છે. ‘નવરા બેઠાં નખ્ખોદ વાળે’ કહેવત જેણે પણ બનાવી હશે તેણે વોટ્સએપને ધ્યાનમાં રાખીને જ બનાવી હશે એવું લાગે છે. વ્હોટ્સએપના ડાયરેક્ટરે ત્રણ વર્ષ પહેલાં ભારતમાં ફરતા એક મેસેજમાં કહ્યું હતું કે હવે તેમના સર્વરમાં માત્ર ૩૦૦ નવા નંબર એડ કરવાની જ ક્ષમતા છે અને જે નંબર એક્ટિવ નહીં હોય તેમના વ્હોટ્સએપ બંધ કરી દેવામાં આવશે પણ હજી સુધી કોઇના એકાઉન્ટ બંધ થયાનું સાંભળ્યું નથી. લોકો બિચારા ૨૦-૨૦ વખત તેમના ફોનના બધા કોન્ટેક્ટ્સને વ્હોટ્સએપના મેસેજ મોકલી ચૂક્યા છે પણ તેમના પ્રોફાઇલમાં બ્લ્યુ કલર આવ્યો નથી. ૧૦૦૧ વખત ઓમ લખેલો મેસેજ ૧૦૦ જણાને મોકલ્યા પછી કેટલાયને ડેટા ખૂટી ગયાના મેસેજ આવ્યા છે પણ કોઇ સારા સમાચાર આવ્યા નથી. રાત્રે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ભયંકર ઊલ્કાપાત થવાનો હોવાથી રાત્રે મોબાઇલ દૂર રાખવાની સલાહ રોજેરોજ નાસા અને બીબીસીના સંદર્ભથી આપણાં સ્નેહી મોકલે છે પરંતુ હજી સુધીમાં ક્યારેય મોબાઇલ પર ઊલ્કા ખાબકી નથી. ૧૦ મિત્રોને મેસેજ મોકલવાથી રૂ. ૨૦૦નું રિચાર્જ મેળશે એમ માનીને કેટલાયે મેસેજ મોકલી-મોકલીને તેમના મિત્રો ગુમાવી દીધા છે પણ રિચાર્જ આવ્યું નથી. જે છોકરો કાલુપુર રેલ્વે સ્ટેશને ગુમ થયો હતો તે આજે કોલેજમાં જવા માંડ્યો છે પણ તે ખોવાયો હોવાના મેસેજ હજી પણ તેના ફોટો સાથે ફરી રહ્યા છે. કોલ્ડ્રીંક પીધા પછી ચ્યુંઇગ-ગમ ખાવાથી સાઇનાઇડ કેવી રીતે બની જાય તે મોટામાં મોટા વૈજ્ઞાનિકોને પણ સમજાતું નથી પણ આપણાં મોબાઇલ પર દર ત્રીજા દિવસે કોઇક આવો મેસેજ મોકલી દે છે. 
આપણે સૌએ અનેક વખત સાંભળ્યું અને અનુભવ્યું છે કે કોઇ વાત એક વ્યક્તિને કરી હોય અને ધીમે ધીમે કર્ણોપકર્ણ તે અન્ય લોકોને ખબર પડે ત્યાં સુધીમાં તે સમૂળગી બદલાઇ ગઇ હોય છે...તો પણ આપણાં પૈકીના ઘણાં આંખો મીંચીને વોટ્સએપમાં આવતા સંદેશાઓનો વિશ્વાસ કરી લે છે. ગમે તેવી મનઘડંત વાતોને ‘ન્યૂઝ’ના નામે વોટ્સએપ ગ્રૂપમાં મોકલવામાં આવે છે અને જે રીતે વાઇરલ કરવામાં આવે છે તેના પરિણામોથી આ મેસેજ મોકલનારા ખરેખર અજાણ જ હોય છે. તેઓ સારા હેતુ સાથે કોઇને સલાહ આપવાના ઉદ્દેશ્યથી મેસેજ મોકલે છે પરંતુ વેરિફિકેશનનો અભાવ હોવાથી તે માહિતી ઉપયોગી થવાના બદલે છેવટે ગેરમાર્ગે દોરનારી સાબિત થાય છે. સામાજિક સંપર્ક માટે બનેલા ‘સોશિયલ મીડિયા’માં દરેક વ્યક્તિ જાતે જ ‘રિપોર્ટર’ બની જાય છે અને પછી શું થાય છે એ જુઓ...
૧) મહારાષ્ટ્રના ધૂળેમાં એક ગેંગસ્ટરને હરિફ ગેંગના માણસોએ વહેલી સવારે નિર્દયતાથી રહેંસી નાંખ્યો એનો વિડિયો વાઇરલ થયો. અમદાવાદમાં એ મેસેજ ‘મણીનગરમાં ધોળા દિવસે હત્યા’ના મથાળા સાથે વોટ્સએપમાં ફરતો થયો. ફોરવર્ડ કરનારી એક પણ વ્યક્તિએ ખરેખર એ વિડિયો આપણાં અમદાવાદનો છે કે નહીં તે ચેક કરવાની દરકાર સુધ્ધાં ના લીધી અને બસ, મોકલતા જ રહ્યા. (એ વિડિયો વિચલિત કરી દેનારો છે એટલે પહેલો પ્રશ્ન તો એ થાય છે કે આવા હત્યાના વિડિયો ફોરવર્ડ કરવામાં કોઇને શું મળતું હશે? આપણાં ફોનમાં કોઇપણ મેસેજ કે વિડિયો આવે એટલે એ ફોરવર્ડ કરવો જ એવી આપણી ફરજ છે?)
૨) દર મહિને તમારા ફોનમાં એ મતલબનો મેસેજ આવતો જ હશે કે “ફલાણી કોલ્ડ્રીંક કંપનીમાં કામ કરતા કર્મચારીને એઇડ્સ હતો અને તેણે કોલ્ડ્રીંકમાં તેનું લોહી ભેળવી દીધું છે તો અમુક નિશ્ચિત સમય સુધી જે-તે ઠંડુ પીણું પીવાથી દૂર રહેજો. દિલ્હી પોલિસ અને ફલાણી ન્યૂઝ ચેનલે આ ચેતવણી આપી છે...” (ઘોર જુઠાણા સમાન આવા મેસેજ લોકો ફોરવર્ડ પણ કરે છે અને એટલે એમને એટલી સામાન્ય સમજ નથી જ હોતી કે ખોરાકના માધ્યમથી એઇડ્સ ક્યારેય ફેલાતો નથી, તે લોહીના સંસર્ગથી ફેલાતો રોગ છે.)
૩) આમળાં અને સફરજનના રસથી હ્રદયની ૧૦૦ ટકા બ્લોક આર્ટરીઝ ખૂલી જાય છે એવા મેસેજ ફોરવર્ડ કરનારા બીજી જ મિનિટે એવો મેસેજ પણ મોકલે છે કે ફલાણી હોસ્પિટલમાં રૂ. ૫,૦૦૦માં નવા પ્રકારની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. (હકિકતમાં તે વિડિયો કોન્સેપ્ટ ટેક્નોલોજી છે અને મુંબઇની જે હોસ્પિટલનું નામ વ્હોટ્સએપ મેસેજમાં ફરે છે તેણે સત્તાવાર રીતે ઓપરેશનનો ભાવ અને આ પદ્ધતિનો ઇનકાર કર્યો છે. હ્રદયરોગથી પીડિત સ્વજનની સારવાર માટે દોડાદોડી કરતા લોકોને આ પ્રકારના ખોટા મેસેજ ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે એ જાત અનુભવ છે.)
વધુ મઝા તો એ મેસેજમાં આવે છે કે જેમાં નીચે ખાસ લખેલું હોય છે “માર્કેટમેં નયા હે”. વાંચનારી વ્યક્તિને ખબર નહીં પડતી હોય કે તે જે મેસેજ વાંચે છે એ નયા હૈ કે જૂના હૈ?
આ પ્રકારના અગણિત ઉદાહરણો છે પણ હું અહીં અટકી જાઉં છું... પણ દેશના ૫૦ કરોડ ફિચર ફોન ધારકો પણ સ્માર્ટફોનનો ઉપયોગ ચાલુ કરવા જઇ રહ્યા છે ત્યારે ડિજિટલ ક્રાંતિના આનંદ સાથે આ પ્રકારના મેસેજનું નવેસરથી આક્રમણ થવાની ચિંતા પણ સતાવે છે...

Thursday, August 17, 2017

મહિને રૂ. ૯૦,૦૦૦ કમાતા પારસીને સબસિડાઇઝ્ડ મકાન મળી શકે!



-પરાગ દવે

આખા દેશમાં માત્ર ૫૭,૦૦૦ની વસ્તી હોવા છતાં પારસીઓએ ક્યારેય ભારતમાં પોતે ભયથી કાંપતા હોવાનું કહ્યું નથી. આજે દેશમાં સૌથી નાની લઘુમતિ એવા પારસીઓનું નવું વર્ષ મનાવાઇ રહ્યું છે ત્યારે દેશની વસ્તીમાં લઘુત્તમ અને વિકાસમાં મહત્તમ પ્રદાન આપનારા પારસીઓની ખાસિયતો અને દેશમાં તેમનું યોગદાન જાણવું રસપ્રદ રહેશે. પારસીઓ એટલા સફળ છે કે આપણને એમ થાય કે આવતા જન્મે ભગવાન પારસી બનાવે તો સારું...
લગભગ ૧,૨૦૦ વર્ષ પહેલાં આરબોએ પર્શિયા જીતી લીધું ત્યારે પોતાની ઝોરાસ્ટ્રિયન આસ્થાને ધાર્મિક આક્રમણથી બચાવવા માટે પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા અને ત્યારથી ઉદવાડા ખાતે પારસીઓનો પવિત્ર અગ્નિ આ સાવ નોખી પ્રજાની આસ્થાનું કેન્દ્ર છે. સમય વિતતા પર્શિયનનું ગુજરાતી પારસી થઇ ગયું.  પારસીઓએ ગુજરાતમાં પ્રવેશ વખતે દૂધમાં સાકરની જેમ ભળી જવાનું વચન આપ્યું હતું. અનોખા પારસીઓ માટે ભારતભરમાં આદરભાવ છે તેનું કારણ એ છે કે તેમણે પોતાનું એ વચન પાળી બતાવ્યું છે અને તમામ ક્ષેત્રોમાં પારસીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ અને ‘ગુણવંતી ગુજરાત’ જેવા કાવ્યો પણ પારસી કવિ અરદેશર ખબરદારની કલમે રચાયા છે. 
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પારસીઓની સંખ્યા ૬૯,૬૦૧ હતી તે ૨૦૧૧માં ઘટીને ૫૭,૨૬૪ થઇ ગઇ હતી. પારસીઓની વસ્તી વધારવા માટે અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મૃત્યુદરને સમકક્ષ જન્મદર લાવતા જ એક દાયકો લાગે તેવી સંભાવના છે. ૧૦માંથી એક સ્ત્રી અને પાંચે એક પુરુષ ૫૦ વર્ષની ઉંમર સુધી અવિવાહિત રહે છે. દર નવ પારસી કુટુંબે માત્ર એક કુટુંબમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે એવું અભ્યાસમાં જાણવા મળ્યું છે. ૨૦૧૩ના વર્ષમાં કુલ ૭૩૫ પારસીના મૃત્યુ સામે માત્ર ૧૭૪ નવા પારસી બાળકો જન્મ્યા હતા અને આ જન્મ સંખ્યા ૨૦૧૨ કરતાં લગભગ ૧૩.૫૦ ટકા ઓછી હતી. દરેક વસ્તી ગણતરીમાં ભારતની વસ્તીમાં સરેરાશ ૨૧ ટકા વૃદ્ધિ સામે પારસીઓની જનસંખ્યા લગભગ ૧૨ ટકા જેટલી ઘટતી રહી છે. પારસીઓમાં આંતર્લગ્નનું પ્રમાણ ૩૮ ટકા છે અને તેમાં વધારો થઇ રહ્યો છે. પારસીઓની વસ્તી ચિંતાજનક રીતે ઘટી ગઇ છે ત્યારે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે જો પિતા પારસી હોય તો જ બાળકને પારસી ગણવામાં આવે છે (ફારુખ શેખ અને ફરહાન અખ્તર એ બંનેના કિસ્સામાં માતા પારસી અને પિતા મુસ્લિમ હતા). પારસી સમાજની બહાર લગ્ન કરનારી સ્ત્રીના સંતાનોને પારસી ગણવામાં આવતા નથી અને તેને કેટલીક મહિલાઓ અને નિષ્ણાતો ભેદભાવપૂર્ણ પરંપરા ગણે છે. પારસીઓમાં પિતરાઇઓ વચ્ચે લગ્ન સામાન્ય બાબત છે પરંતુ તેના કારણે સ્વાભાવિક રીતે આનુવંશિક રોગોનો પણ ભય છે. 
અત્યંત સમૃદ્ધ પારસીઓના ટ્રસ્ટના ભંડોળનું સંચાલન કરતી બોમ્બે પારસી પંચાયતે ૨૦૧૨માં ‘ગરીબ’ પારસીઓ માટે સબસિડાઇઝ્ડ હાઉસિંગની લાયકાત નક્કી કરી હતી તે મુજબ પ્રતિ માસ ~૯૦,૦૦૦થી ઓછી આવક ધરાવતા કુટુંબને રાહત દરે મકાન મળી શકે છે! 
પ્રથમ ભારતીય ફિલ્ડ માર્શલ અને ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટાં કરી દેનારા સામ માણેકશા એવા પારસી હતા કે જેણે સમગ્ર હિન્દુસ્તાનને ગૌરવાન્વિત કરી દીધું! સામ માણેકશા જ નહીં, ભારતની કુલ વસ્તીના ૦.૦૦૬ ટકા પારસીઓએ દેશના સર્વોત્તમ ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, કલાકારો આપ્યાં છે. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના સર્વોચ્ચ હોદ્દાઓ પર વીર પારસીઓ પોતાની છાપ છોડી ગયા છે.
સર કોવસજી જેહાંગીર રેડીમની ૧૯મી સદીમાં વિખ્યાત બિઝનેસમેન હતા અને મુંબઇના પ્રથમ ઇન્કમટેક્સ કમિશનર તરીકે તેમણે ભારતમાં આ નવી કરવેરા પદ્ધતિ સફળ બનાવી હતી. ટાટા પરિવારથી લઇને વાડિયા, ગોદરેજ અને પાલોન્જી મિસ્ત્રીએ ઉદ્યોગજગતમાં પારસીઓના ધ્વજને ઊંચો ફરકતો રાખ્યો છે. ૧૬૨ વર્ષ અગાઉ બ્રિટનમાં પ્રથમ ભારતીય વેપાર સાહસ કરનારા ગુજરાતી પારસી શેઠ કમાજીવાલા હતા. સુરતના નવરોઝજી રુસ્તમજી ઇસ.૧૭૨૩માં કાયદાકીય કામ માટે બ્રિટન ગયા હતા અને બ્રિટન જનારા તેઓ પ્રથમ ભારતીય ગણાય છે. ફ્રેની જીનવાલા દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાના સાથીદાર હતા અને સાત વર્ષ સુધી દક્ષિણ આફ્રિકાની સંસદના સ્પિકર રહ્યા હતા. 
ક્રિકેટ વિશ્વમાં ફારુક એન્જિનિયર, નરિ કોન્ટ્રાક્ટર, પોલી ઉમરીગરના નામ આદરથી લેવાય છે તો ફિલ્મ ક્ષેત્રે પારસીઓનો ડંકો વાગતો રહ્યો છે. ૪૦’ અને ૫૦’ના દાયકામાં ઐતિહાસિક ફિલ્મો દ્વારા બોલિવુડ પર રાજ કરનારા એક્ટર-પ્રોડ્યુસર સોહરાબ મોદીએ ફિલ્મ ક્ષેત્રે સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવ્યો હતો. જ્હોન અબ્રાહમ, બોમન ઇરાની અને ફરહાન અખ્તરે પણ પોતાનો આગવો વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો છે. યુટીવીના સ્થાપક અને સીઇઓ રોની સ્ક્રુવાલા, કોરિયોગ્રાફર શિઆમક દાવર, સંગીતકાર વી બલસારાએ પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. હોમાઇ વ્યારાવાલા ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હતા.

Tuesday, August 1, 2017

ત્રણ પત્તાની રમત કેમ સૌથી શ્રેષ્ઠ છે???


-પરાગ દવે

અત્યાર સુધીમાં સેંકડો ફિલ્મોમાં કે વાર્તાઓમાં તમે હીરોને હીરોઇનને કહેતો સાંભળ્યો હશે કે, પ્રિયે, તું કહે તો તારા માટે ચાંદ-તારા તોડી લાવું (સાવ ફેંકમફેંક છે એ આપણે જાણીએ છીએ). પણ ફેંકવામાં પણ ક્યારેય કોઇ પ્રેમીએ એની પ્રેમિકાને કહ્યું હોય કે, “તું કહે તો તીનપત્તીની બધી બાજીમાં ત્રણ એક્કા લઇ આવું”, એવું સાંભળ્યું?
શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારોમાં બહુ રમાતી તીનપત્તી શક્યતાઓની રમત છે અને વિદ્વાનો તો સદીઓથી કહેતા આવ્યાં છે કે તીનપત્તી સમાજના ભેદભાવ દૂર કરનારી રમત છે. અમીર-ગરીબ બધા તેનો લુત્ફ ઉઠાવે છે. અન્ય રમતો સાથે સરખામણી કરતાં તમે સરળતાથી સમજી શકશો કે કઇ રીતે તીનપત્તી શ્રેષ્ઠ છે. ગોલ્ફ તો સમૃદ્ધ લોકો જ રમી શકે છે પરંતુ તીનપત્તી રમવા માટે માત્ર બાવન પત્તા, થોડાં રૂપિયા અને હૈયામાં ભરપૂર જીગરની જ જરૂર છે. વળી, ક્રિકેટ, ટેનિસ, બોક્સિંગ, બેડમિન્ટન, ફુટબોલ સહિતની રમતોમાં ફિક્સીંગનું ભૂત ધૂણે છે પરંતુ આજ દિન સુધી પત્તામાં ફિક્સીંગનો આક્ષેપ નથી થયો...આ મેચ કરસનભાઇ જ જીતશે એવી શરતો કોઇ લગાવી શકતું નથી અને એ અનિશ્ચિતતા જ આ રમતની બ્યૂટી છે. તીનપત્તીની રમત લોકપ્રિય થવાનું એક કારણ તેની ઝડપી ગતિ પણ છે. એક મિનિટથી ઓછા સમયમાં પણ મેચ પૂરી થઇ હોવાના દાખલા મળી આવે છે.
આ રમત સંપૂર્ણ અહિંસક છે. તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે તીનપત્તી રમતાં રમતાં પત્તું વાગવાથી કોઇ ખેલાડીને ફ્રેક્ચર થઇ ગયું કે પછી પત્તું ખોલવા જતાં કોઇ ખેલાડીના સ્નાયું ખેંચાઇ જતાં સ્ટ્રેચરમાં નાંખીને સ્ટેડિયમ (રૂમ)ની બહાર લઇ જવો પડ્યો હોય. ક્યારેય એવું પણ નથી સાંભળ્યું કે દિનેશભાઇ બંધ કરવા જતાં હતા ત્યારે જ ધીરજભાઇએ ધીરજ ગુમાવીને તેમના પત્તાં ઝૂંટવીને પૈસા ઉતરવાનું ચાલુ કરી દીધું... વળી, સ્થળ, કાળ અને ખેલાડીઓની સંખ્યાનો લોપ કરનારી આ રમત છે. તીનપત્તીના મેદાનોના મેઇન્ટેનન્સ પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવો પડતો નથી અને તેના પ્રમોશન માટે પણ કોઇ બજેટ ફાળવવું પડતું નથી. માત્ર માઉથ પબ્લિસિટી દ્વારા અનેક ખેલાડીઓ નિશ્ચિત સ્થળે નિશ્ચિત સમયે પહોંચી જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બીજી બધી રમતોમાં ઘોંઘાટ ફેલાતો હોય છે અને ખેલાડીઓ હાકલા-પડકારા કરતાં હોય છે તો દર્શકો પણ પોતાની મનગમતી ટીમ કે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કાગારોળ મચાવતા હોય છે, પણ તીનપત્તીના ખેલાડીઓ શાંતિ, અને સાવ મૌન નહીં તોય, ધીમા અવાજે બોલવાનું જ પસંદ કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કહેવાય છે કે જો કોઇના ઘરની બહાર ૧૨-૧૫ જોડી ચપ્પલ પડ્યાં હોય પણ તેમ છતાં ઘરમાંથી કોઇ પ્રકારના હો-હાના અવાજો ના આવતા હોય તો તે ઘરમાં તીનપત્તીનો ભવ્ય કાર્યક્રમ જ ચાલતો હશે.
માનવીય મૂલ્યોની જાળવણીની દ્રષ્ટિએ પણ આ રમત ઘણી ઉપયોગી છે. બીજી બધી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરીને જીતનારાં ખેલાડીઓમાં અહંકાર ઉત્પન્ન થાય છે, જ્યારે તીનપત્તીમાં જીતનારા ખેલાડીમાં ભારોભાર નમ્રતા જોવા મળે છે. બીજા બધા ખેલાડીઓને ખબર હોય કે કરસનભાઇ આજે ૫,૦૦૦ રૂપિયા જીત્યાં છે, પરંતુ કરસનભાઇ તો નમ્રતાથી એમ જ કહેતાં હોય કે ૪,૦૦૦ તો હું લઇને જ આવ્યો હતો એટલે ૧,૦૦૦ જ જીત્યો છું, ખરેખર તો બાબુભાઇ જ જીત્યા છે. જેન્ડર ઇક્વાલિટી માટે સરકારે આટલા પ્રયત્નો કર્યાં હોવા છતાં ક્રિકેટ કે ફુટબોલમાં સ્ત્રી-પુરુષ ટીમો સાથે રમતી હોવાનું બહુ જોવા મળતું નથી, પરંતુ તીનપત્તીમાં સંપૂર્ણપણે જેન્ડર ઇક્વાલિટી જોવા મળે છે. અન્ય રમતોમાં પારંગત બનવા માટે હજારો રૂપિયા ખર્ચીને કોચિંગ લેવું પડે છે, જ્યારે તીનપત્તી એક એવી રમત છે કે ખાસ કોઇ કોચિંગ વગર જ ખેલાડી પારંગત બની જાય છે અને એ કઇ રીતે થાય છે એ તો ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિનને પણ સમજાયું નહોતું. ભાષા સમૃદ્ધિમાં પણ આ રમતે યોગદાન આપ્યું છે, જે બીજી રમતો નથી આપી શકી. ક્યારેય કોઇએ એવી કહેવત નથી સાંભળી કે ‘રનઆઉટ થયેલો બમણું દોડે’, પણ સૌને એ ખબર છે કે ‘હાર્યો જુગારી બમણું રમે’. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તીનપત્તી વ્યક્તિને પોતાના જીવન અને પરિવારને જ મહત્ત્વ આપવાની આડકતરી પ્રેરણા આપે છે. ત્રણ પત્તા હાથમાં આવી ગયા બાદ ખેલાડીને પોતાના ત્રણ પત્તા કયાં છે એમાં જ રસ હોય છે અને બાકીના ૪૯ પત્તા વિશે તે ઉપેક્ષા સેવે છે. એ ત્રણ પત્તાના આધારે જ તે કર્મ કરે છે અને ફળ ઇશ્વર આધિન છે એમ માને છે.
તીનપત્તીના કારણે વ્યક્તિમાં ઇશ્વર પ્રત્યેની આસ્થા પણ વધતી જોવા મળે છે. તેના અંગે હજુ સુધી કોઇ વૈજ્ઞાનિક પદ્ધતિની સરવે કરવામાં આવ્યો નથી પરંતુ એવું જોવામાં આવ્યું છે કે મંદિરમાં વ્યક્તિ જેટલા ભાવથી ભગવાનને યાદ કરે છે તેના કરતાં વધુ તીવ્રતાથી પોતાની બાજીમાં કયા પત્તાં આવ્યા છે તે જોતી વખતે ભગવાનને યાદ કરે છે.
સોશિયલ મીડિયાના કારણે લોકો એકબીજા સાથે વાતો કરવાના બદલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ ખોવાયેલા રહે છે એવી સમાજશાસ્ત્રીઓની ફરિયાદનું પણ તીનપત્તીની રમત વખતે નિવારણ થઇ જાય છે. ક્રિકેટ રમતી વખતે ફિલ્ડરો પોતાનું વોટ્સએપ ચેક કરતા હોવાનું અનેક વખત જોયું છે પરંતુ તીનપત્તી રમતી વખતે કોઇ ખેલાડી વોટ્સએપ તો શું, મોબાઇલ તરફ પણ નજર કરતાં નથી. સૌથી મોટું સુખ એ છે કે પોતે તીનપત્તી રમતા હોવાના ફોટો પણ ફેસબુક પર કોઇ મૂકતું નથી...
ભારતમાં સરકારોએ તીનપત્તીને ક્યારેય પ્રોત્સાહન નથી આપ્યું પરંતુ હકિકતમાં ઇકોનોમીને સુધારવામાં પણ તીનપત્તી મહત્ત્વનું યોગદાન આપી શકે છે. બજારમાં ગમે એટલી લિક્વિડિટી ક્રાઇસીસ હોય પરંતુ તીનપત્તીમાં ક્યારેય તેની અસર જોવા મળતી નથી એ જોતાં સરકારને જ્યારે પણ બજારમાં ઓછાં નાણાં ફરે છે એવું લાગે ત્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા સ્તરે તીનપત્તી ટુર્નામેન્ટના આયોજન કરવા જોઇએ. બે જ દિવસમાં એટલાં નાણાં ફરવા લાગે કે અર્થતંત્રમાં તેજી આવી જાય.
(અહીં હાસ્ય-વિનોદના હેતુથી આ લેખ લખવામાં આવ્યો છે પરંતુ તીનપત્તીને વર્ષે એક વાર રમાતી રમતના બદલે બારમાસી કરી દેનારાઓ માફીને પાત્ર નથી, કારણ કે તેઓ પોતાની સામાજિક જવાબદારી ભૂલીને જુગાર રમ્યે રાખે છે. વર્ષે એક વખત માત્ર પરિવારના સભ્યો સાથે તીનપત્તી રમવું સૌરાષ્ટ્રમાં સ્વાભાવિક છે, પરંતુ આખું વર્ષ કોઇ પ્રકારની મર્યાદા વગર તીનપત્તી રમનારા લોકોનો તો સામાજિક બહિષ્કાર જ કરવો જોઇએ કારણ કે તે માફ ના કરી શકાય તેવો ગુનો છે. મહાભારતના યુદ્ધના મૂળ કુરુસભામાં યોજાયેલી દ્રૃતક્રિડામાં હતા એ ક્યારેય ના ભૂલવું...)