Sunday, August 21, 2016

"બક્ષીસાહેબનો ‘વિકલ્પ’ હજુ મળ્યો નથી અને કદાચ મળશે પણ નહીં"


-પરાગ દવે

ડિસેમ્બર 2012માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત ચૂંટાયા ત્યારથી લઇને મે-2014માં વડાપ્રધાન તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા તે સમયગાળામાં કોલમિસ્ટ ચંદ્રકાંત બક્ષીને મેં સૌથી વધુ મિસ કર્યાં છે. ગુજરાત અને ભારતના રાજકારણના તમામ ચઢાવ-ઉતાર વખતે બક્ષીબાબુની કલમે ધારદાર વિશ્લેષણ પ્રકટ કર્યાં હતા પરંતુ મોરારજી દેસાઇ બાદ પ્રથમ વખત એક ગુજરાતી ભાજપની તમામ આંતરિક ખેંચતાણને શમાવીને વડાપ્રધાન બનવા જઇ રહ્યા હતા તે ઘટનાનું નિરૂપણ બક્ષીબાબુની કલમે આપણને વાંચવા નથી મળ્યું તેનો ખેદ કાયમ રહેશે. કલકત્તામાં પોતાની કપડાંની દુકાનના કાઉન્ટર બેસીને તેમણે જે વાર્તાઓ અને નવલકથાઓ લખી તેણે ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવી દીધી હતી અને બીજી તરફ, અખબારોની કોલમના સ્તરને તેઓ એટલું ઊંચું લઇ ગયા કે આજે તેમના અવસાનના સવા દસ વર્ષ બાદ પણ તેમનો વિકલ્પ હજી સુધી આપણને મળ્યો નથી, અને કદાચ મળશે પણ નહીં.શનિવારે, 20 ઓગસ્ટની રાત્રે (યસ, બક્ષીસાહેબના જન્મદિવસે) આ આ વાક્યો નવગુજરાત સમય ના તંત્રી અજયભાઇ મટ બોલ્યાં ત્યારે ગુજરાત અને ગુજરાતી સાહિત્યના ફલક પર પોતાની રાખના ધબ્બાઓ મૂકી જનારા બક્ષીસાહેબની ગેરહાજરીનો વિષાદ સ્પષ્ટ હતો. (વિકલ્પ બક્ષીસાહેબની કોલમનું નામ હતું. વાતાયન તેમની ફ્લેગશીપ કોલમ હતી!)

સાહિત્યકાર બક્ષીએ પોતાની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ સહિતના સર્જન વિશે વિપુલ પ્રમાણમાં લખ્યું છે પરંતુ પત્રકાર અને કટાર-લેખક બક્ષીસાહેબની ખૂબીઓ અજયભાઇ મટથી વધુ સારી રીતે કોણ સમજાવી શકે, જેમણે વર્ષો સુધી કોલમિસ્ટ બક્ષી સાથે કામ કર્યું છે. આ બ્લોગના માધ્યમથી તેમના અનુભવો જણાવવા માટે મેં વિનંતિ કરી અને સતત 45 મિનિટ સુધી બક્ષીસાહેબની વાતોનો દૌર ચાલ્યો!

કોલમિસ્ટ બક્ષીએ જે માપદંડ સ્થાપ્યાં છે તે અનન્ય છે અને બક્ષીએ ગુજરાતી કોલમ લેખનમાં જે પરિવર્તનો આણ્યાં છે તેનું આજપર્યંત અનુસરણ થાય છે. અજયભાઇ દિવ્ય ભાસ્કરના શરૂઆતના સમયને યાદ કરતાં કહે છેઃ બક્ષી મારા ફ્રેન્ડ, ગાઇડ એન્ડ ફિલોસોફર તો હતા જ પણ અમારા અખબાર માટે તેઓ એક બ્રાન્ડ એમ્બેસેડર હતા. બક્ષી જોડાયા ત્યારપછી ગુજરાતના અન્ય ખ્યાતનામ કોલમિસ્ટોને અમારી સાથે જોડવાનું કામ સરળ બની ગયું હતું. બક્ષીએ મને સૂચવ્યું કે કોલમિસ્ટોના લેખ સાથે તેમના ફોટોગ્રાફ પણ છપાવા જોઇએ પરંતુ હું તે સૂચનનો સ્વીકાર કરવામાં થોડો ખચકાટ અનુભવતો હતો. બક્ષીસાહેબની દલીલ હતી કે લેખકના ફોટોગ્રાફ સહિત છપાતી કોલમ સાથે વાચકો વધુ સરળતાથી કનેક્ટ થશે અને ત્યારબાદ તમામ કોલમ સાથે તેના લેખકનો ફોટો છાપવાની અમે પહેલ કરી અને આ પ્રયોગ અત્યંત સફળ રહ્યો. બક્ષી માનતા કે ગુજરાતી કોલમિસ્ટોમાં તેમનો પુરસ્કાર સૌથી વધુ હોવો જોઇએ અને સાથોસાથ તેમનો આગ્રહ રહેતો કે લેખકોને સારો પુરસ્કાર મળવો જ જોઇએ!

વર્ષ 2005માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાસક કોંગ્રેસને પરાસ્ત કરીને ભાજપે ઝળહળતો વિજય મેળવ્યો ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચારના વિશ્લેષણ સમાન પાંચ હપ્તાની ખૂબ વખણાયેલી શ્રેણી જો જીતા વોહી સિકંદર અજયભાઇએ લખી હતી અને તેમાં પાંચમા દિવસે બક્ષીસાહેબે પણ એક લેખ લખ્યો હતો, જેનો સાર હતો – નરેન્દ્ર મોદી, દુશ્મનોથી તમને લાભ જ છે!” અને મોદી વડાપ્રધાન બન્યાં ત્યાં સુધી એ વારંવાર સિદ્ધ થતું રહ્યું છે. બક્ષીબાબુ જેટલી સજ્જતા ભાગ્યે જ કોઇ કટાર લેખકમાં જોવા મળે છે. રિસર્ચ અને ફેક્ટ્સથી ભરપૂર લેખોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય મૂકીને બક્ષી લેખને સુપિરિયર બનાવે અને સાથોસાથ ભવિષ્યની સચોટ અટકળ પણ તેઓ મૂકી શકે. શબ્દની બંદગી કરતા બક્ષી પોતાના શબ્દો દ્વારા ધાર્યું તીર મારી શકતા હતા અને લેખોમાં શબ્દોનું ચયન એટલી ચિવટથી કરતા કે તેમના લેખમાંથી એક શબ્દ પણ એડિટ કરવો અશક્ય હતું. શ્રેષ્ઠ કટારલેખક હોવા છતાં તેમની શિસ્ત અનન્ય હતી. ડેડલાઇનના 24 કલાક અગાઉ જ પૂર્તિના સંપાદક પાસે તેમનો લેખ પહોંચી જાય તે સુનિશ્ચિત કરતા. પરફેક્ટ સંખ્યાના અક્ષરો સાથેનું હેડિંગ, સબ-હેડિંગ, હાઇલાઇટ્સ અને લેખ સાથેના ફોટોગ્રાફ સુધીની ચોક્સાઇ તેઓ રાખતાં!”

બક્ષી માત્ર પત્રકાર કે લેખક નહોતા, કવિતા સિવાય સાહિત્યનો ભાગ્યે જ કોઇ પ્રકાર છે જેમાં બક્ષીએ યોગદાન નથી આપ્યું. વક્તા તરીકે તેઓ બહુ ઊંચી ફી વસૂલી શકતા અને વક્તવ્યના અંતે આયોજકો તથા શ્રોતાઓનો મબલખ પ્રેમ પણ મેળવી જતા.

 _________________________________________

સાહિત્યકાર બક્ષીઃ
બક્ષીની પહેલી વાર્તા મકાનનાં ભૂત૧૯૫૧માં કુમારમાં છપાઇ હતી અને ત્યારે બક્ષી બી.એ.ના ત્રીજા વર્ષમાં હતા. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી તેમણે કંઇજ લખ્યું નહોતું અને ૧૯૫૪-૫૫થી તેમણે નિયમિત લખવાનું શરૂ કર્યું, જે પૂરા ૫૦ વર્ષ- મૃત્યુ સુધી- સતત ચાલુ રહ્યું.

બક્ષી પોતાની બીજી વાર્તા છૂટ્ટીને પોતાની પ્રથમ વાર્તા ગણતા હતા કારણ કે એ વાર્તા પછી બાકાયદા લેખક તરીકે લખવાનું તેમણે શરૂ કર્યું હતું. ગુજરાતથી દૂર, ત્યારના કલકત્તામાં લેખકચંદ્રકાન્ત બક્ષીનો જન્મ કઇ રીતે થયો? બક્ષીના અદ્‌ભૂત લેખોનો સંગ્રહ ધરાવતા પુસ્તક આભંગ’ (પ્રથમ આવૃત્તિ ૧૯૭૬)માં બક્ષીએ લખ્યું છે: પૂર્વ પાકિસ્તાનની સીમા પર બશિરહાટમાં મારા એક ઘનિષ્ઠ મિત્રની તમાકુની દુકાન હતી, એક દિવસ ગયેલો. સાંજ હતી, ઇચ્છામતિ નદી વહેતી હતી, દૂર પાકિસ્તાની ગનબોટ દેખાતી હતી. મિત્રે કહ્યું, સામે પાકિસ્તાન. દિવસે આ સીમાઓ પર રાઇફલો લઇને માણસો પરેડ કરે છે, રાત્રે ગળે મળે છે અને સ્મગલીંગ કરે છે. ઇચ્છામતિ નદીની એક ભેખડ પર એ વાર્તાનો જન્મ થયો. વાર્તા લખાઇ રહી ત્યાં સુધી થ્રી-નોટ-થ્રીનું બેરલ ચમકતું રહ્યું, અને ગન-બોટની પાણી પરથી આવતી વ્હીસલ. વાર્તા પ્રામાણિક હતી પણ લખાણ કમજોર હતું. છપાઇ ગઇ. ૧૪ વર્ષની ઉંમરે વયસ્ક થઇ ગયા પછી આશ્ચર્ય બહુ જલદી થતું ન હતું. એક પથી એક વાર્તા લખાઇ, હુગલી નદી પરની ડીંઘીઓ, ફાનસો પર મચ્છીની બુ. ઢળતી સાંજમાં નદીના પાણીથી કુલ્લા કરીને નમાજ પઢતા માઝીઓ, લીલી લુંગીઓ, ચાંદનીમાં ખાલી ફુટબોલના મેદાનો, છેલ્લી શિફ્ટ માટે સામે પારની જ્યુટ મિલોમાં હોડીઓમાં જતા મજદુરો, ગેસલાઇટની નીચે ભીંજાયેલું પોસ્ટકાર્ડ વાંચવાનો પ્રયત્ન કરતો ગાડાવાળો, ઝાડના અંધકારમાં ઊભી રહીને મને સમય પૂછતી વેશ્યા, ટેક્ષીઓ રોકીને પેશાબ કરવા બેસી જતા ટેક્ષી ડ્રાઇવરો, ફોર્ટ વિલિયમના વોટર ગેટમાં પાછી ફરતી લશ્કરની ભેંસોં, ઇડન ગાર્ડન પાસે કૂતરા વેચવા આવેલી, નાહીને તાપણાંઓ પાસે વાળ સૂકવતી જિપ્સી ઔરતો, આવતા ચોવીસ કલાકમાં વીંઝાનારા ભવિષ્યની ચિંતા, કલકત્તા--કલકત્તા--કલકત્તા....અને ચંદ્રકાન્ત બક્ષીનો જન્મ થયો.

બક્ષી કહેતા, સિદ્ધાંતો ઘડીને પછી એમનું પ્રતિપાદન કરવા માટે વાર્તા લખવા ન બેસાય. જેને સમજાય એવી સહેલી ભાષા લખતા આવડતી નથી એણે વાર્તા ના લખવી જોઇએ...વાર્તાનું ઉદ્‌ગમસ્થાન છાતી છે, મગજ નહીં, ફીલીંગ છે, બુદ્ધિ નહીં. બુદ્ધિ હલાવી નાંખવાથી વાર્તા નહીં વરસી જાય, માત્ર શબ્દો ઢોળાઇ જશે.

ગુજરાતી સાહિત્યમાં ઘટનાનો હ્રાસ કે તિરોધાનની ચર્ચા શરૂ થઇ ત્યારે બક્ષીએ કહેલું, ઘટના વિના હું લખી જ ના શકું! ૧૯૬૯માં જાતકકથાનવલકથા આવી ત્યાં સુધીનું તમામ સર્જન તેમણે કલકત્તામાં તેમની દુકાન અલકા સ્ટોરના કાઉન્ટર પર જ કર્યું હતું, પણ સાર્ત્રનો અસ્તિત્વવાદ એ પ્રત્યેક શબ્દમાં છલકે છે.

બક્ષીની ટૂંકી વાર્તાઓ કે નવલકથાના હીરો કોઇ રાજકુમારો નથી કે કોઇ ટિપીકલ આદર્શ ગુજરાતી યુવાન નથી. “...મારો નાયક મારી જેમ ઊંચાઇમાં નીચો, કાળો, ચશ્મા પહેરનારો, બદમાશીમાં બહલનારો, મર્દાનગીની અમખયાલીમાં ચૂર, ખાનારો-પીનારો, પ્રામાણિકતાને જ ધર્મ સમજનારો, હંમેશા નિષ્ફળ જનારો, એકજ સંતાનનો પિતા, બહેન વિનાનો, હિંદી-અંગ્રેજીથી સભર ગુજરાતી બોલનારો- અને શરીરની સ્વસ્થતા અને માંસલતા વિશે બહુ જ પક્કા અને જિદ્દી ખ્યાલો રાખનારો છે. એ વિષે શર્મ નથી, ગર્વ પણ નથી. એ વિષે કોઇ સફાઇ પેશ કરવાની જરૂર પણ નથી. એ બધું છે જ.બક્ષીએ ગુજરાતી સાહિત્યમાં એવા નાયકો આપ્યાં કે જે નિરાશામાં માથું ધૂણાવતો હોય અને ગાળ પણ બોલી શકતો હોય!

બક્ષીસાહેબ માત્ર નિષ્ણાત કે ચર્ચા સંયોજક તરીકે જ ટી.વી. પર છવાયા હતા એવું નથી. તિગ્માંશુ ધુલિયાએ દિગ્દર્શિત કરેલી વિખ્યાત સિરિઝ- સ્ટાર બેસ્ટસેલર્સમાં બક્ષીસાહેબની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ પૈકીની એક એવી એક સાંજની મુલાકાતપરથી એપિસોડ બનાવવામાં આવ્યો હતો અને તેમાં બક્ષીસાહેબનું પાત્ર ઇરફાનખાને ભજવ્યું હતું!

લોગ-આઉટઃ
જીવતા સર્જકનો મુદ્રાલેખ એક જ હોઇ શકે- to better my best.”  -ચંદ્રકાંત બક્ષી

(બાય ધ વે, ગુજરાતી કોલમમાં લેખના અંતે આ પ્રકારે કોઇ કહેવત કે ક્વોટ મૂકવાની શરૂઆત પણ બક્ષીસાહેબે કરી હતી!)

Tuesday, August 16, 2016

બલુચિસ્તાનની ટેલેન્ટે ભારતમાં ધૂમ મચાવી છે!


-પરાગ દવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી બલુચિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને ૭૦ વર્ષથી બલુચિસ્તાનના લોકો દ્વારા ચાલતી લડાઇને જાણે નવી ઊર્જા મળી છે. કશ્મીરના મુદ્દે પાકિસ્તાનની ટોચની નેતાગીરી ક્યારેય નિવેદન આપવાનો મોકો ચૂકતી નથી ત્યારે લાલ કિલ્લા પરથી બલુચિસ્તાન, ગિલગીટ અને પાક ઓક્યુપાઇડ કશ્મીરનો ઉલ્લેખ કરનારા નરેન્દ્ર મોદી સ્વાભાવિક રીતે ‘પ્રથમ’ ભારતીય વડાપ્રધાન બન્યાં છે. જોકે, આપણને રસ પડે તેવી બાબત એ છે કે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં સ્થિત બલુચિસ્તાનમાં જન્મેલી ઘણી હસ્તીઓને આપણે ઓળખીએ છીએ, જેઓ પત્રકારત્વ અને ફિલ્મોને સમર્પિત જીવન જીવી છે.
રુસી કરંજિયા
૧૯૪૧માં ઇન્વેસ્ટિગેટિવ ટેબ્લોઇડ ‘બ્લિટ્ઝ’ શરૂ કરીને પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરનારા રુસ્તમ ખુર્શીદ કરંજિયા (આર. કે. કરંજિયા) બલુચિસ્તાનના સૌથી મોટા શહેર ક્વેટામાં જન્મ્યા હતા. લગભગ ચાર દાયકા સુધી ‘બ્લિટ્ઝ’ અનેક લોકોની પસંદ બની રહ્યું હતું. ક્વેટાના આ હોનહાર પારસી પરિવારે ભારતમાં કેવું યોગદાન આપ્યું છે? આર, કે. કરંજિયાના લઘુબંધુ બી.કે. કરંજિયા ૧૮ વર્ષ સુધી ‘ફિલ્મફેર’ અને ત્યારબાદ ૧૦ વર્ષ સુધી ‘સ્ક્રિન’ના તંત્રી રહ્યા હતા અને પછી તો તેમણે ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશન સ્થાપ્યું હતું. સમય જતાં તેનું નામ બદલીને ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ કરવામાં આવ્યું અને તેના તેઓ ચેરમેન હતા. લો-બજેટ આર્ટ ફિલ્મોને ધિરાણ આપવાનું પ્રશંસનિય કામ આ સંસ્થાએ કર્યું છે. રુસિ કરંજિયાના પુત્રી રિટા મહેતાએ ‘સિને બ્લિટ્ઝ’ની સ્થાપના કરી અને તેના પ્રથમ એડિટર-ઇન-ચીફ બન્યાં હતા. (મેગેઝિનના પ્રથમ અંકના કવર પર ઝિન્નત અમાનની તસવીર હતી અને અંદરના પેજ પર પ્રોતિમા (પ્રતિમા) બેદીના મુંબઇમાં જૂહુ બિચ પરના ‘ન્યૂડ રન’ની તસવીરો હતી.)
આ પારસી ફેમિલી ઉપરાંત, ફિલ્મો કરતાં સલમાન ખાન સામેના આક્ષેપોની પત્રકાર પરિષદ માટે વધુ જાણીતા વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય પણ આઝાદીના માત્ર એક વર્ષ અગાઉ ક્વેટામાં જ જન્મ્યાં હતા અને ભાગલાં પડતાં તેમના પિતાએ ભારતમાં આવીને હૈદરાબાદમાં મેડિકલ સ્ટોર્સની ચેઇન સ્થાપી હતી. (કેટલાક વાંકદેખા એવું કહે છે કે જો વિવેક એક્ટિંગ નહીં સુધારે તો એણે પણ કોઇ સ્ટોર જ શરૂ કરવો પડશે.)
આર. કે. ફિલ્મ્સની ‘હીના’ અને તેની સુંદર પાકિસ્તાની હિરોઇન તો તમને યાદ જ હશે! હા, ‘હીના’ અને અદનાન સામી સાથેના લગ્ન તથા છૂટાછેડા માટે ચર્ચામાં આવેલી ઝેબા બખ્તિયાર પણ બલુચિસ્તાનની જ છે. છૂટાછેડાના કિસ્સામાં અનેક વખત પોલિસ કેસ પણ થતા હોય છે તેના પરથી યાદ આવ્યું કે આપણી ફિલ્મોના ‘કાયમી’ પોલિસ ઇન્સ્પેક્ટર ઇફ્તિખારના બહેન વીણા (મૂળ નામ તજોર સુલતાના) ૧૯૨૬માં ક્વેટામાં જ જન્મ્યા હતા અને ભારતમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં કિશોરકુમારની ‘ચલતી કા નામ ગાડી’નો પણ સમાવેશ થાય છે. ફિલ્મ ‘તાજમહાલ’ (૧૯૬૩) માટે તેમણે ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મેળવ્યો હતો. ભાગલાં છતાં તેઓ બલુચિસ્તાન જવાના બદલે ભારતમાં જ રોકાઇ ગયા હતા અને તેમનો તે નિર્ણય યોગ્ય સાબિત થયો હતો કારણ કે બ્રિટિશરોની વિદાય પછી તરત જ રાજકારણે એવા રંગ બદલ્યાં હતા કે કલા-જગતના વિકાસ માટે ખાસ કોઇ અવકાશ નહોતો.
વીણા

૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, પાકિસ્તાનની આઝાદીના બરાબર ૧૦ દિવસ અગાઉ, પાકિસ્તાન, બ્રિટિશરો અને બલુચિસ્તાન વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો, જેમાં બલુચિસ્તાનના સાર્વભૌમત્વને સ્વિકારવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અસ્તિત્વના બે દિવસ પહેલાં, ૧૨ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બલુચિસ્તાને પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું અને ચૂંટણી યોજીને ડિસેમ્બર મહિનામાં એસેમ્બ્લી સેશન પણ યોજ્યું હતું. બલુચિસ્તાનના લોકો માટે ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો ધરાવતા તત્કાલિન નેતા ઘૌસ બક્ષ બિઝેન્જોએ ૧૪ ડિસેમ્બર ૧૯૪૭માં જે વક્તવ્ય આપ્યું હતું તે આજે પણ પાકિસ્તાનથી અલગ બલુચિસ્તાન માટેની મુખ્ય દલીલ ગણાય છે. તેમણે કહ્યું હતું કે, “અમે ઇરાન અને અફઘાનિસ્તાનની જેમ અલગ સભ્યતા ધરાવીએ છીએ. બ્રિટિશ ઇન્ડિયા અગાઉ અમે ક્યારેય ભારતનો ભાગ નહોતા. માત્ર મુસ્લિમ હોવાના નાતે અમારે કોઇ દેશ સાથે જોડાવું પડે તે અયોગ્ય છે. જો માત્ર મુસ્લિમ હોવાના નાતે પાકિસ્તાન સાથે અમારા જોડાણની વાત હોય તો ઇરાન અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનમાં ભળી જવા જોઇએ.” આ ભાષણે બલુચિસ્તાનના બચ્ચા-બચ્ચાને રોમાંચિત કરી દીધા હતા. “અમે પાકિસ્તાન વગર ટકી જઇશું, પરંતુ અમારા વગરનું પાકિસ્તાન કેવું હશે?” એવા બક્ષના સવાલે પાકિસ્તાનને ચોંકાવી દીધું હતું. જોકે, મિલિટરી પાવરના જોરે બલુચિસ્તાન પાકિસ્તાનનો હિસ્સો બની ગયું એ સ્વાભાવિક છે અને ૧૯૭૭માં તો ગ્વાદર પોર્ટને પણ બલુચિસ્તાનનો ભાગ બનાવવામાં આવ્યું.
લગભગ ૩.૫૦ લાખ ચોરસ કિમીમાં ફેલાયેલું બલુચિસ્તાન પાકિસ્તાનનો ૪૪ ટકા જેટલો ભૂભાગ ધરાવે છે. નેચરલ ગેસ, કોલસો અને અન્ય ખનીજો બલુચિસ્તાનને સમૃદ્ધ બનાવી શકે છે પણ અહેવાલો મુજબ, અહીં ૬૦ ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે અને સાક્ષરતાનો દર ૪૦ ટકા જેટલો નીચો છે! મુખ્ય શહેર ક્વેટામાં એક કલાક પાણી પૂરવઠો આપવામાં આવે છે. અન્ય બાબતોમાં પણ બલુચિસ્તાનની ટેલેન્ટને સતત અન્યાયની ફરિયાદ કરવામાં આવે છે જેમ કે પાકિસ્તાન સુપર લિગ (પીએસએલ)માં ક્વેટા ગ્લેડિયેટર્સ ટીમ છે, પરંતુ તેમાં માત્ર એક ખેલાડી બિસ્મિલ્લાહ ખાન બલુચિસ્તાનનો છે અને તેને પણ મોટાભાગે અંતિમ ઇલેવનમાં સ્થાન મળતું નથી!

Monday, August 15, 2016

ગાંધીજી, સરદાર, જિન્નાહઃ જીવનભર ઝઝૂમ્યા બાદ પણ હ્રદય ખંડિત!


-પરાગ દવે

ઇતિહાસ બહુ ક્રૂર શિક્ષક છે, પણ ઇતિહાસ સાથે આપણે ગુજરાતીઓ બહુ લગાવ રાખતા નથી તે પ્રજા તરીકે આપણી બહુ મોટી ભૂલ છે. સમાજવિદ્યા આજે પણ આપણા બાળકો માટે મહત્ત્વનો વિષય નથી, કારણ કે તેમાં ગણિતની જેમ પૂરા માર્ક મળવા મુશ્કેલ લાગે છે! વિશ્વફલક પર મહાનતમ નેતાઓ તરીકે જેમના નામ ઝળહળે છે તેવા નેતાઓ અને તેમના સંઘર્ષને ભૂલાવીને આપણે માત્ર કેલેન્ડરમાં તેમની જન્મજ્યંતિની રજાઓ કયા વારે આવે છે તે શોધતા રહીએ છીએ અને આ વર્ષે સ્વાતંત્ર્ય દિન સોમવારે આવ્યો હોવાથી એકંદરે વધુ ફીલ-ગુડ ફેક્ટર છે!

ભારતના સ્વાતંત્ર્ય માટે અગણિત જાન કુરબાન થઇ હતી અને 1857ની ક્રાંતિ બાદ પણ નામી-અનામી અનેક યુવાનોએ શહીદી વહોરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બ્રિટીશરો ભારત છોડી જશે એ નિશ્ચિત લાગતું હતું ત્યારે ગાંધીજી સાથે સરદાર પટેલ અને મોહમ્મદઅલી જિન્નાહ રાજકીય ગતિવિધિઓના સૌથી મહત્ત્વપૂર્ણ પાત્રો બની ગયા હતા અને આ ત્રણેય ગુજરાતી હતા. ગુજરાતે બે દેશના રાષ્ટ્રપિતા આપ્યાં છે!

જે સ્વતંત્રતા મેળવવા માટે જીવન હોમી દીધું હતું તે સ્વતંત્રતા મેળવતાં દેશના ભાગલાં પડી રહ્યા હોવાની વાતે મહાત્મા ગાંધી અત્યંત વ્યથિત હતા અને અંતે આઝાદી મળ્યાંના સાડા પાંચ મહિનામાં તેમની હત્યા થઇ. વિભાજન વખતે થયેલી હિંસામાં પાંચ લાખથી 10 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે અને સ્વાભાવિક રીતે અહિંસાના પૂજારી માટે સ્વતંત્રતાનું આ પ્રકારનું લોહિયાળ આગમન અસહ્ય ઘાવ સમાન બની રહ્યું હતું.

ગાંધીજીના અવસાનના આઠ મહિના બાદ જિન્નાહે મૃત્યુ પહેલાં પોતાના ડોક્ટરને કહ્યું હતું: “પાકિસ્તાન હેઝ બિન ધ બિગેસ્ટ બ્લન્ડર ઓફ માય લાઇફ,” ! 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ જિન્નાહ પૂરા 13 મહિના પણ જીવ્યા નહોતા અને તેમનો તમામ સંઘર્ષ તેમને મરણપથારીએ અર્થહિન લાગ્યો હતો!

સરદાર વલ્લભભાઇ પટેલે 550થી વધુ દેશી રજવાડાંના સ્વતંત્ર ભારતમાં વિલિનીકરણને શક્ય બનાવીને ભારતના બિસ્માર્કનું બિરુદ મેળવ્યું હતું પણ સ્વતંત્ર ભારતના ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે માત્ર ત્રણ વર્ષ અને ચાર મહિના જેટલો સમય મેળવનારા સરદારે કેવા ક્ષુલ્લક આક્ષેપોના જવાબ જીવતે જીવ આપવા પડ્યા હતા? 15 ડિસેમ્બર 1950ના દિવસે સરદારનું અવસાન થયું તેના લગભગ બે મહિના પહેલાં 3 ઓક્ટોબરે આપેલા એક પ્રવચનમાં સરદારે જે કહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે આઝાદીના માત્ર સાડા ત્રણ વર્ષમાં દેશના ઘડવૈયાને કેટલી પીડા પહોંચી હશે? એ પ્રવચનમાં સરદારે કહ્યું હતું, કેટલાક કહે છે કે સરદાર મૂડીવાદીઓના હાથમાં છે. હું કોઇના હાથમાં નથી. કોઇ મને પોતાના હાથમાં રાખી શકે નહીં. જે દિવસે મને એમ લાગશે કે હું મૂડીવાદીઓ વિના ચલાવી શકું છું, હું એક પળ પણ નહીં અચકાઉ. ઘણા કહે છે કે મારી પાસે ખૂબ પૈસા છે. જે લોકો એમ સમજે છે કે આવી વાતોથી મને ચલિત કરી શકાશે એમના ભાગ્યમાં માત્ર નિરાશા આવશે. વર્ષો પહેલાં મેં મારી બધી જ સંપત્તિ છોડી દીધી છે. જો કોઇ એમ કહે કે મારી પાસે સંપત્તિ છે તો હું તેના નામે કરી દેવા તૈયાર છું. જો આપણી પાસે મૂડી હોય તો આપણે પણ મૂડીવાદી થવામાં વાંધો ના લઇએ, આપણી પાસે નથી માટે આપણે આક્રોશ કરીએ છીએ .” યાદ રહે, આ વ્યથા એ સરદારે વ્યક્ત કરવી પડી હતી કે જેમણે આઝાદી મળ્યાના દિવસે ઊજવણીમાં સમય વ્યય કરવાના બદલે પાકિસ્તાનના નૌકાદળની પહેલાં ભારતનું નૌકાદળ મોકલીને લક્ષદ્વિપ ટાપુઓ પર કબજો મેળવી લીધો હતો!

1937માં પ્રથમ વખત 18 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર રચાઇ હતી અને તે બ્રિટીશરો દ્વારા તૈયાર થયેલી નીતિઓ મુજબ કાર્ય કરતી હતી ત્યારે આ સરકારો મૂડીવાદીઓ માટે જ કામ કરે છે અને ગરીબોની સદંતર અવગણના કરવામાં આવે છે તેવા કારણ સાથે જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ વર્કીંગ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આઝાદીના 69 વર્ષ બાદ પણ ભારતમાં કોઇપણ સરકાર પર આક્ષેપ માટે હજુ આ જ શબ્દો વપરાય છે.
શોષણ, પીડા, અભાવ અને અસમાનતા જેવા દૂષણોથી આપણા સમાજને આઝાદી અપાવવા માટે તમામ દેશભક્તોએ પ્રયત્નો કરવા હવે અનિવાર્ય છે.

જય હિન્દ!

Sunday, August 14, 2016

‘સી.આઇ.ડી.’ના ૬૦ વર્ષ: વહિદા રહેમાને ‘ગુરુ દત્ત મૂવિઝ’ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો હોત તો?


-પરાગ દવે

તમારી જાણ ખાતર કે વર્ષોથી ચાલતી સી.આઇ.ડી.સિરિયલને ૬૦ વર્ષ હજી નથી થયા. આ એ સી.આઇ.ડી. ફિલ્મની વાત છે, જેનું ઓ. પી. નૈયરે ગીતા દત્ત પાસે ગવડાવેલું જાનદાર ગીત જાતા કહાં હૈ દિવાને ગયા વર્ષે પિટાઇ ગયેલી અનુરાગ કશ્યપની બોમ્બે વેલ્વેટમાં લેવામાં આવ્યું હતું. મજાની વાત એ છે કે સેન્સર બોર્ડ ત્યારે પણ ખૂબ સક્રિય હતું અને ગીતના ફીફી શબ્દ તથા ગીતના મુખડાંના શબ્દોને દ્વિઅર્થી ગણીને આ ગીત ફરીથી બનાવવા આદેશ કર્યો હતો. આ શક્ય ના બનતાં ફિલ્મમાં આ સુંદર ગીત સમાવવામાં જ આવ્યું નહોતું. આ ફિલ્મ હિન્દી સિનેમાની સર્વકાલિન શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં નિર્વાવાદ સ્થાન પામતા વહિદા રહેમાનની ડેબ્યૂ ફિલ્મ હતી. અને સૌના લાડલા કોમેડિયન મહેમૂદે આ ફિલ્મમાં વિલનનો નાનકડો રોલ કર્યો હતો.

એક ધનિક વ્યક્તિના અન્ડરવર્લ્ડ સાથેના કનેક્શનનો પર્દાફાશ કરવા જઇ રહેલા અખબારના તંત્રીનું મર્ડર થઇ જાય અને ફિલ્મનો હીરો પોલિસ ઇન્સ્પેક્ટર અનેક ચકરાવા બાદ આખાં ષડયંત્રનો ભેદ ખોલે એ વાર્તા ભલે આજે કોમન લાગે પણ 60 વર્ષ અગાઉ આ ફિલ્મે જબરું આકર્ષણ ઊભું કર્યું હતું.

હવે એ તો બધા જાણે છે કે દેવ આનંદ, ગુરુ દત્ત અને રહેમાન આજીવન મિત્રો હતા અને દેવ આનંદ તથા ગુરુ દત્તે સંઘર્ષના દિવસોમાં એકબીજાને વચન આપ્યું હતું કે જો પોતાની ફિલ્મ કંપની સ્થાપશે તો દેવઆનંદ ગુરુ દત્તને દિગ્દર્શક તરીકે અને ગુરુદત્ત દેવઆનંદને હીરો તરીકે મોકો આપશે. દેવ આનંદે પોતાની નવકેતન ફિલ્મ્સની બાઝી’ (૧૯૫૧)માં ગુરુ દત્તને દિગ્દર્શન સોંપીને પોતાનું વચન પાળ્યું, પણ ગુરુ દત્ત મૂવિઝ પ્રા લિ.ના બેનર હેઠળ બનેલી સી.આઇ.ડી.માં દેવ આનંદને હીરો તરીકે જરૂર લેવામાં આવ્યા, પણ દિગ્દર્શન રાજ ખોસલાએ કર્યું, કારણ કે દત્ત સાહેબ પ્યાસાની તૈયારીમાં લાગ્યા હતા! સ્વતંત્ર દિગ્દર્શક તરીકે રાજ ખોસલાએ ત્યારબાદ વો કૌન થી, દો બદન, દો રાસ્તે અને મૈં તુલસી તેરે આંગન કી જેવી ઉમદા ફિલ્મો આપી હતી.

કારકિર્દીના બીજા જ વર્ષે પ્યાસા જેવી ફિલ્મ મેળવનારા વહિદા રહેમાને ૧૭ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ રોજુલુ મારાઇ (ઉચ્ચારમાં ભૂલ-ચૂક હોય તો મોટું મન રાખવું) ફિલ્મમાં એક ડાન્સ સાથે કરિયરની શરૂઆત કરી. તમિલનાડુમાં મુસ્લિમ કુટુંબમાં જન્મેલા વહિદા રહેમાનને આમ તો નાનપણમાં ડોક્ટર બનવાના સ્વપ્ન આવતા પણ તેમની નિયતિમાં પ્યાસાની ગુલાબોના પાત્રથી અમર બનવાનું નિશ્ચિત હતું તો અનાયાસે તેલુગુ ફિલ્મોમાં આવી ગયા. હૈદરાબાદમાં જ વહિદા રહેમાન અને ગુરુ દત્ત પ્રથમ વખત મળ્યાં હતા. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ગુરુ દત્ત સન્માનનિય સ્થાન ધરાવતા હતા અને ફિલ્મ મેકિંગની ટેક્નિકમાં તેમણે કરેલા બદલાવ ધૂમ મચાવી રહ્યા હતા. તેમના પત્ની ગીતા દત્ત ટોપ રેન્ક સિંગર તરીકે પ્રસ્થાપિત થઇ ચૂક્યા હતા અને ક્લબ સોંગ્સમાં તેમની મોનોપોલિ હતી. સાવ નવી-સવી વહિદા રહેમાન સી.આઇ.ડી.દ્વારા દત્ત કેમ્પમાં અને પછી તેમના જીવનમાં પ્રવેશી જશે એવી કલ્પના પણ ક્યાંથી હોય?

ખેર, સારું ઉર્દૂ બોલી શકતા વહિદા રહેમાન ગુરુ દત્તના મનમાં પ્યાસાની ગુલાબોના રોલ માટે પરફેક્ટ સ્થાન જમાવી ચૂક્યા હતા અને થોડા અનુભવ માટે તેમની સાથે સી.આઇ.ડી.અને પ્યાસાએમ બે ફિલ્મ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો. સી.આઇ.ડી.માં મુખ્ય હિરોઇનનો રોલ તો ત્યારની જાણીતી હિરોઇન શકિલાને આપવામાં આવ્યો હતો પરંતુ સેકન્ડ લિડ વહિદા રહેમાન સાઇન થયા. જોકે, ફિલ્મના નિર્માણ દરમિયાન આજે સાવ સામાન્ય લાગે તેવી વાતે વહિદા રહેમાન કોન્ટ્રાક્ટ તોડી દેવા સુધી પહોંચી ગયા હતા. બન્યું હતું એવું કે ફિલ્મમાં કહીં પે નિગાહેં, કહીં પે નિશાનામાટે વહિદાએ એક સી-થ્રુબ્લાઉઝ પહેરવાનું હતું, જે નવા કોસ્ચ્યૂમ ડિઝાઇનર ભાનુમતિ (જે પછીથી ભાનુ અથૈયા તરીકે મશહૂર થયા)એ ડિઝાઇન કર્યું હતું. આજના જમાનામાં હિરોઇનો ગમે તેવા ભંગાર કપડાં પહેરવાને ફેશન ગણાવે છે પણ ત્યારે તો (મોટાભાગની) હિરોઇનો સેક્સી નહીં, પણ સુંદર દેખાવા જ પ્રયત્ન કરતી! વહિદા રહેમાન નવા હતા, પણ આવા કપડાં સાથે ગીત શુટ કરવાની દિગ્દર્શક રાજ ખોસલાની જિદને જરા પણ તાબે થયા નહીં અને ફિલ્મના કોન્ટ્રાક્ટ રદ કરી દેવા સુધીની તૈયારી દર્શાવી. અંતે રાજ ખોસલાએ ખંડાલામાં અબ્રાર અલ્વી સાથે પ્યાસાલખી રહેલા ગુરુ દત્તને બોલાવવાની ફરજ પડી. ગુરુ દત્ત આવ્યા ત્યારે વહિદા મેક-અપ રૂમમાં બેઠાં હતા, પણ પોતાના નિર્ણય પર અડગ હતા. દેવ આનંદને સ્વિટ્ઝર્લેન્ડ જવાનું હોવાથી તાત્કાલિક શૂટિંગ પૂરું કરવાનો બીજો કોઇ રસ્તો સૂઝતો નહોતો ત્યારે અંતે વહિદા રહેમાને જ દુપટ્ટો રાખીને ગીતનું શૂટિંગ કરવાનો રસ્તો બતાવ્યો અને એ તમે ગીતમાં જોઇ શકો છો!

જો તમે ગુરુ દત્તના (મારી જેમ) એ.સી. હોવ (ફેન શબ્દ નાનો પડે) તો સ્વાભાવિક રીતે એવું સમિકરણ ગોઠવવા માંડો કે આ રીતે દુપટ્ટો રાખીને ગીત ગાવાના બદલે વહિદા રહેમાને ગુરુ દત્ત મૂવિઝ સાથેનો કોન્ટ્રાક્ટ જ તોડી નાંખ્યો હોત તો ગુરુ દત્ત અને ગીતા દત્તના જીવનમાં તોફાન આવતું અટકી ગયું હોત અને ટી.વી. ચેનલો એ દંપત્તિને જીવતેજીવ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ્સઆપી શકી હોત! પરંતુ...સિને ઉદ્યોગમાં એક ડિબેટ વર્ષોથી ચાલી આવી છે અને તેમાં કંઇક વજૂદ પણ લાગે છે કે વહિદા રહેમાન સાથેની નિકટતા અને તેના કારણે અંગત જીવનમાં આવેલા ઝંઝાવાત વગર આપણને અતિ સંવેદનશીલ સર્જકગુરુ દત્ત મળ્યા હોત? કેમ કે વહિદા રહેમાનનો ગુરુ દત્તના જીવનમાં પ્રવેશ થયો એ પહેલાંની તેમની તમામ ફિલ્મો ટેક્નિકલી જરૂર શ્રેષ્ઠ હતી, પણ કથાનક તો ક્રાઇમ થ્રિલર અને ક્યારેક હળવીફુલ મિસ્ટર એન્ડ મિસિસ ૫૫જેવાં જ રહેતા.

બાય ધ વે, ગુરુ દત્તે સી.આઇ.ડી.થી વહિદા રહેમાનને હિન્દી સિનેમામાં બ્રેક આપ્યો પણ ડાયરેક્ટર રાજ ખોસલા તો વહિદાજીથી એટલા નારાજ હતા કે તેમણે ગુરુ દત્તને એવું કહી દીધું હતું કે વહિદા ફિલ્મોમાં ચાલી શકે એમ જ નથી. થોડાં મહિના બાદ ગુરુ દત્તે પ્યાસાના જગમશહૂર ગીત જાને ક્યા તૂને કહી, જાને ક્યા મૈને સુનીના દ્રશ્યો બતાવ્યાં ત્યારે ખોસલાની આંખો ફાટી ગઇ કે આ હિરોઇને મારા નિર્દેશનમાં તો વેઠ ઉતારી હતી તો તમે એની પાસે આ પર્ફોર્મન્સ કઇ રીતે અપાવ્યું???

જોકે, એ પર્ફોર્મન્સ કોઇ ચમત્કાર નહોતો એ તો વહિદાજીએ ત્યારબાદ અનેક ફિલ્મોમાં સાબિત કરી આપ્યું જ્યારે આ ફિલ્મની લીડ એક્ટ્રેસ શકીલા તો દેવ-વહિદાની ગાઇડ આવ્યા પહેલાં જ લગભગ ખોવાઇ ગઇ હતી. ગુરુ દત્તની જ ફિલ્મ આર-પારમાં બાબુજી  ધીરે ચલના જેવું ગીતાનું એવરગ્રીન ગીન આ શકીલા પર ફિલ્માવાયું હતું. આ શકીલાના બહેન નૂરજહાંએ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી સાથે લગ્ન કર્યા હતા, જેમને આખું જગત જ્હોની વોકરના નામે ઓળખે છે. ગુરુ દત્તે બદરૂદ્દીન કાઝીને જ્હોની વોકર નામ આપવા ઉપરાંત પોતાની તમામ ફિલ્મોમાં રોલ પણ આપ્યો હતો અને તેમના પ્રતાપે જ જ્હોની વોકર બોલિવુડના સૌથી પહેલાં સ્પેશિયલાઇઝ્ડ કોમેડિયનનો દરજ્જો પામ્યાં હતા.

આ ફિલ્મને અમરત્વ તો ઓ.પી. નૈયરના સંગીતે આપ્યું છે. સામાન્ય રીતે ગુરુ દત્તની ફિલ્મોમાં એસ.ડી. બર્મનનું જ સંગીત હોય, પરંતુ 'બાઝ' અને આ સી.આઇ.ડી.માં ઓ.પી.એ સંગીત આપ્યું હતું. સી.આઇ.ડી.ના તમામ ગીતો, રિપીટ, તમામ ગીતો સુપરહીટ હોવા છતાં 'પ્યાસા' માટે ગુરુ દત્તે સચિનદેવ બર્મનનું જ સંગીત લીધું. સી.આઇ.ડી.ના ગીતો પણ ગુરુ દત્તના પ્રિય સાહિરે નહીં, મજરુહ સુલતાનપુરી અને જાંનિસાર અખ્તરે (જાવેદ અખ્તરના પિતા અને ફરહાન અખ્તરના દાદા) લખ્યાં હતા. મજરૂહે લખેલું 'યે હૈ બમ્બઇ મેરી જાન' એ વર્ષે બિનાકા ગીતમાલામાં પ્રથમ ક્રમે હતું. અન્ય ગીતો પણ કેવા- લે કે પહેલા પહેલા પ્યાર, આંખો હી આંખો મે ઇશારા હો ગયા, બૂઝ મેરા ક્યા નામ રે અને ઉપર જેમનો ઉલ્લેખ છે એ ત્રણેય ગીતો. ફિલ્મના પ્રોડ્યુસરની પત્ની જ ટોપ રેન્ક સિંગર હોવા છતાં ફિમેલ વોઇસમાં શમશાદ બેગમ અને આશા ભોંસલેના ગીતો પણ છે. ફિલ્મમાં કોરિયોગ્રાફર ઘરે-ઘરે જાણીતા એક્ટ્રેસ દાદીમાં ઝોહરા સહેગલ હતા, જે 2014માં જ 102 વર્ષની ઉંમરે સ્વર્ગે સિધાવ્યા.

પણ સી.આઇ.ડી. બાદ ગુરુ દત્ત કેમ અત્યંત સંવેદનશીલ ફિલ્મો તરફ વળી ગયા એનો ભેદ તો સી.આઇ.ડી.ના એ.સી.પી. પ્રદ્યુમ્ન પણ કદાચ નહીં ઉકેલી શકે!